Vadodara : વડોદરા શહેરના હરણી-વારસિયા રીંગ રોડ પર પંચશીલથી પ્રાણાયામ જવાના રસ્તે છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની ચાલતી કામગીરી ખૂબ ગોકળગાય ગતિએ ચાલતી હોવાથી રહીશો પરેશાન છે. ઝડપથી કામગીરી કરવા તેઓ દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
હરણી-વારસિયા રીંગ રોડ પર પંચશીલથી પ્રાણાયામ સુધી જવાના માર્ગ પર ડ્રેનેજ નાખવાની કામગીરી ચાલી રહી છે. અહીં 18 મિટરનો રસ્તો, કામગીરીને ધ્યાનમાં લેતા, વન-વે કરી દેવામાં આવ્યો છે. જેથી ખૂબ જ ટ્રાફિક જામ થાય છે. ઉપરાંત અહીં આવેલ સોસાયટીના રહીશોએ આવવા જવામાં ખૂબ હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિક રહીશોએ પાલિકા તંત્રને રજૂઆત કરી હતી કે, અહીં ડ્રેનેજની કામગીરી માટે જે ઇજારદારને વર્ક ઓર્ડર આપ્યો છે તે ખૂબ જ ધીમી ગતિએ કામ કરે છે અને તેના કારણે આજુબાજુ આવેલી સોસાયટીના રહીશોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ઉપરાંત નડતરરૂપ વસ્તુઓ પણ જરૂરી સમયમાં દૂર કરવામાં આવતી નથી. તેઓએ પાલિકાના અધિકારી સમક્ષ ઝડપથી કામગીરી આટોપવા રજૂઆત કરી છે.


