સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ રહેતા લોકોને હાલાકી
મનપાની પ્રિમોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડયા
કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોવાની ચર્ચા ઃ રસ્તાઓનું ધોવાણ થતાં વાહન ચાલકોમાં અકસ્માતનો ભય
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો સહિત તમામ તાલુકાઓમાં ગત મંગળવારના રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી પરંતુ શહેરી વિસ્તારમાં વરસાદને પગલે મનપા તંત્રની પ્રિ-મોનસુન કામગીરીની પોલ છતી થઈ હતી. શહેરના અનેક સ્થળે સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ રહેતા લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.
સુરેન્દ્રનગર, રતનપર,જોરાવરનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ગત મંગળવારે મોડી સાંજથી રાત સુધીમાં અંદાજે ૧ થી ૧.૫ ઈંચ જેટલો ધોધમાર વરસાદ પડયો હતો જેને પગલે શહેરના અનેક વિસ્તારો લક્ષ્મીપરા, જુના જંકશન રોડ, ૮૦ ફુટ રોડ, માનવ મંદિર વિસ્તાર, દાળમીલ રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેતા મનપા તંત્રની પ્રી-મોનસુન કામગીરીની પોલ છતી હતી તેમજ લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો
શહેરના ટાવર રોડ, ટાંકીચોક રોડ, રિવરફ્રન્ટ તેમજ હેન્ડલુમ રોડ પર વરસાદને પગલે ઠેરઠેર રસ્તાઓ ધોવાઈ જતા ગાબડાઓ પડી જતા વાહન ચાલકોને હાલાકી સહિત અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે. હજુ તો ચોમાસાની માત્ર શરૃઆત છે અને સામાન્ય વરસાદમાં જ મનપા તંત્રની બેદરકારી સામે આવી છે ત્યારે ચોમાસા દરમિયાન શહેરીજનોની હાલત કેવી થશે તે અંગે પણ ચર્ચાઓએ જોર પકડયું છે. મનપા તંત્રના અધિકારીઓ દ્વારા આયોજન અને કામગીરીની વાતો કરવામાં આવે છે પરંતુ સામાન્ય વરસાદમાં જ સમગ્ર કામગીરીનો ચીતાર પ્રજાજનો સમક્ષ આવી ગયો છે અને મનપા તંત્રની પ્રી-મોનસુન કામગીરી માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે.