Gujarat

આણંદના સોજીત્રા રોડ પર રાતે ટ્રાફિકજામ થતા લોકો અટવાયા

By GS TEAM
28 Sep 20251 min read
આણંદના સોજીત્રા રોડ પર રાતે ટ્રાફિકજામ થતા લોકો અટવાયા

- બેદરકારીપૂર્વક રોડ ક્રોસ કરતાં ખેલૈયાઓ

- મા શક્તિ ગરબા મહોત્સવ આસપાસ આડેધડ વાહન પાર્ક કરાતા અકસ્માતનો ભય

આણંદ : આણંદ સોજીત્રા રોડ ઉપર એલિકોન નજીકના ગ્રાઉન્ડ ખાતે મા શક્તિ ગરબા મહોત્સવના કારણે રાતે ટ્રાફિકજામની સમસ્યા સાથે અકસ્માતનો ભય છે. ત્યારે સત્વરે સમસ્યા હલ કરવા માંગણી ઉઠી છે.

આણંદ શહેર સહિત જિલ્લામાં નવરાત્રિ અંતિમ ચરણ તરફ છે. ત્યારે આણંદ શહેરના ગરબા ગ્રાઉન્ડો પર મોડી રાત સુધી ખેલૈયાઓની ભીડ જોવા મળે છે. આણંદ સોજીત્રા રોડ ઉપર આવેલી એલિકોન કંપની નજીકના મા શક્તિ ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. ત્યારે ખેલૈયાઓની આ સ્થળે ભારે ભીડ જામતી હોવાથી રાત્રિના ૧૧ કલાક બાદ મુખ્ય માર્ગની બંને તરફ વાહનોનું પાકગ ખડકી દેવામાં આવે છે. પરિણામે ટ્રાફિકની લાંબી કતારો લાગે છે. મુખ્ય હાઇવે માર્ગ હોવાથી ભારે વાહનો પણ પસાર થતા હોય છે. ત્યારે યુવક- યુવતીઓ આડેધડ રસ્તો ક્રોસ કરતા હોવાથી અકસ્માતની સંભાવના છે. પોલીસની આ સ્થળે હાજરી હોવા છતાં ટ્રાફિકની લાંબી કતારો લાગતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. ત્યારે અકસ્માત કે જાનહાનિ થાય તે પહેલા તંત્ર દ્વારા ગરબા આયોજકો સામે લાલ આંખ કરી સમસ્યા હલ કરવા માંગણી ઉઠી છે.