Get The App

ગ્રામ્ય વિસ્તારથી લઈ શહેરના વોર્ડ સુધી સમગ્ર જામનગર જિલ્લો બન્યો યોગમય

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
ગ્રામ્ય વિસ્તારથી લઈ શહેરના વોર્ડ સુધી સમગ્ર જામનગર જિલ્લો બન્યો યોગમય 1 - image


International Yoga Day : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2014માં યુનાઇટેડ નેશન્સ દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને 2015 થી આ દિવસ વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. જે અંતર્ગત આ વર્ષે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ‘યોગા ફોર વન અર્થ, વન હેલ્થ’ની થીમ પર જિલ્લાના 1396 સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અંદાજીત ચાર લાખ જેટલા નાગરીકો ઉત્સાહભેર જોડાયા હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે વિશ્વ યોગ દિવસએ કોઈ તારીખ નથી પરંતુ સ્વાસ્થ્ય, શાંતિ અને એકતાનું પ્રતીક છે. આજે યોગના પ્રાચીન જ્ઞાનને સમગ્ર વિશ્વ એ સ્વીકાર્યું છે. અને તેથી જ સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી થઈ રહી છે. યોગ થકી સ્વસ્થ સમાજની સાથે સ્વસ્થ વિશ્વનું નિર્માણ થાય છે. યોગ ટકાઉ જીવન શૈલી અપનાવવાની પ્રેરણા આપે છે. નિયમિત યોગ દ્વારા આપણે તણાવમુક્ત રહીએ છીએ અને જીવનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે તેમ જણાવી મંત્રીશ્રીએ યોગ, પ્રાણાયામ અને ધ્યાનના મહત્વ વિશે વિસ્તાર પૂર્વક જણાવ્યું હતું.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્રિય પ્રયાસોને કારણે આજે આપણી યોગ વિદ્યા વૈશ્વિક સીમાડાઓ વટાવી ચુકી છે. અને આજે યોગએ જન આંદોલન બન્યું છે. યોગને માત્ર એક દિવસ માટે સીમિત ન રાખી તેને જીવનમાં નિયમિત રીતે અપનાવવા પણ મંત્રીએ અનુરોધ કર્યો હતો.

ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી, શાળા, કોલેજ, આઈ.ટી.આઈ., જેલ, પોલીસ, આર્મી, નેવી, એરફોર્સ, આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગ પ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર જામનગર જિલ્લો યોગમય બન્યો હતો. જામનગર જિલ્લા ખાતે વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષા તેમજ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ જામનગર તથા મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ રણમલ તળાવ ગેટ નં.01 ખાતે યોજાયો હતો. તેમજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અન્વયે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરક સંબોધનનું પણ સમગ્ર જિલ્લામાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમ ખાતે મુખ્ય અતિથી તરીકે કેબિનેટ મંત્રી મુળુ બેરા તથા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક કલેકટર  બી.એન.ખેર, અગ્રણી વિનુભાઈ ભંડેરી સહિતના અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યોગાભ્યાસ કર્યો હતો. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ શંખનાદ કરી યોગાભ્યાસની શરૂઆત કરાવી હતી, જ્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો-ઓર્ડીનેટર હર્ષિદા ભદ્રા તથા તેમની ટીમે ઉપસ્થિત સૌ કોઈને યોગ-પ્રાણાયામ કરાવ્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરીદેવ ગઢવીએ કર્યું હતું.

આ સાથે જ તાલુકા અને નગરપાલિકા કક્ષામાં કાલાવડ ટાઉનહોલ, ધ્રોલ જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય, જામજોધપુર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ, જોડિયા શ્રી યુ.પી.વી. કન્યા વિદ્યાલય, લાલપુર વીર સાવરકર હાઈસ્કૂલ અને સિક્કા નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે પણ યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

Tags :