Get The App

ભાલના 8 ગામના લોકો 5 દિવસથી પીવાના પાણી વિહોણા

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
ભાલના 8 ગામના લોકો 5 દિવસથી પીવાના પાણી વિહોણા 1 - image


- પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા

- ગ્રામ્ય પંથકના લોકો લીકેજ કે ભંગાણ શોધીને તંત્રને જાણ કરે છે ત્યારે સવાલ એ છે કે તંત્ર શું કરે છે ? ઉઠતો પ્રશ્ન

ભાવનગર : પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા ભાલ પંથકના આઠ ગામના લોકો પાંચ દિવસથી પીવાના પાણી વિહોણા છે. કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકોની આ સમસ્યે સત્વરે ઉકેલવા તંત્ર યોગ્ય પ્રબંધ કરે તેવી લોકમાંગ ઉઠી છે. 

ભાવનગર તાલુકાના કાળાતળાવ ગામના અગ્રણી શાર્દુલભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભાલ પંથકના જે ગામો પાણી વિહોણા છે તેમાં નર્મદ, કાળાતળાવ, ખેતાખાટલી, સનેસ, માઢિયા, સવાઈનગર, દેવળિયા, પાળિયાદનો સમાવેશ થાય છે. આ આઠ ગામના લોકોને પીવાનું પાણી પાંચ દિવસથી મળતું નથી અને ઘેલો નદીના નહેરામાં (ઘુનામાં) પાણી જઈ રહ્યું છે. 

તેમણે પ્રશ્ન કર્યો હતો કે, વલ્લભીપુર સંપથી માઢિયા સંપ સુધી પાણી ન પહોંચતું હોવા છતાં લાઈન શા માટે ચાલુ રાખવામાં આવી છે ? આ રીતે પાણીનો બગાડ શા માટે ? ગ્રામ્ય પંથકના લોકો લીકેજ કે ભંગાણ શોધીને તંત્રને જાણ કરે છે ત્યારે સવાલ એ છે કે તંત્ર શું કરે છે ? 

તેમણે માંગ કરી હતી કે, ગુજરાત પાણી પુરવઠા બોર્ડની વલ્લભીપુરની કચેરીએ જે એજન્સીને ભાલના ગામડાને પાણી પહોંચાડવાનું કામ સોંપેલ છે તેનું નામ, સરનામું અને ફોન નંબર ગ્રામ પંચાયત કચેરીએ બહાર લગાડવા જોઈએ, જેથી પાણી ન આવે તેવા સંજોગોમાં ગ્રામજનો તેમની ફરિયાદ પહોંચાડી શકે. આ અંગે સત્વરે યોગ્ય કરી ભાલ પંથકના ગામોના લોકોને પીવાનું પાણી સત્વરે મળે તેનો પાકો પ્રબંધ કરવો જોઈએ. 

Tags :