વડોદરામાં પૂરના ભયના ઓથાર નીચે જીવતા લોકોએ તરાપાની પૂજા કરી
Vadodara : વડોદરામાં ગત વર્ષે ત્રણ વખત પૂરના પાણી શહેરભરમાં ફરી વળ્યા હતા. જેનો ભય આજે પણ લોકોને સતાવી રહ્યો છે. ત્યારે હવે શહેરમાં ચોમાસું બેસવાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરના સયાજીગંજ પરશુરામના ભઠ્ઠા વિસ્તારના નાગરિકો દ્વારા પૂર આવે તો સુરક્ષિત બહાર નીકળાય તે માટે તરાપાની પૂજા કરી હતી, કદાચ ગુજરાતમાં આવી પહેલી ઘટના હશે કે આગવા આયોજનના ભાગ રૂપે સ્થકનિકો દ્વારા તરાપાની પૂજા અર્ચના કરી નારિયેળ વધેર્યું હોય.
કદાચ નવાઈ લાગશે કે તરાપાની પૂજા કેમ? ગત વર્ષે વડોદરામાં આવેલા પૂર દરમિયાન સુરક્ષિત બહાર નીકળવા માટે વિસ્તારના લોકો માટે તરાપો જ બચાવનું સાધન હતો, જેથી આ વખતે ના કરે નારાયણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તો આ તરાપો નાગરિકોના બચવવા માટેનું સાધન બને તે માટે આજે તરાપાની પૂજા કરી હતી, સ્થાનિકોનો આક્ષેપ છે ગત વર્ષે પૂર દરમિયાન પાલિકા તંત્ર દ્વારા જરૂરી સહાય મળી ના હતી. ત્યારે તેમને 10 થી 12 દિવસો સુધી પૂરના પાણી અને મગરોથી સુરક્ષિત બહાર નીકળવા માટે એક માત્ર તરાપો જ હતો, જેથી સ્થાનિકો દ્વારા આજે તરાપાનું પૂજન કર્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી સાફ સફાઈ અને ઊંડી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા બાદ પણ લોકોના મનમાંથી પૂરના પાણીનો ભય ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો જે ચોકાવનારી વાત છે.
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં નીચાણવાળા ભાગોમાં ગત વર્ષે પૂરના પાણી ફરી વળતા ભારે મુશ્કેલી સર્જાઇ હતી. આ વખતે પાલિકા દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ પ્રોજેક્ટને લઇને લોકોનો વિશ્વાસ જીતવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે. આજે પરશુરામ ભઠ્ઠામાં વિસ્તારના સ્થાનિકો દ્વારા તરાપાનું પૂજન કરવામાં આવ્યું છે. આ વખતે જો પૂરના પાણી ફરી વળે ત્યારે મદદ મળે તે આશયથી આ કાર્ય કરવામાં આવ્યું હતું. સામાજિક આગેવાન વિઠ્ઠલ આયરેએ જણાવ્યું કે, ગયા વર્ષે પૂરની દુખદ ઘટના ઘટી હતી. જે અમે આજે પણ ભૂલ્યા નથી, વળી તાજેતરમાં અકોટાના ધારાસભ્યએ કહ્યું હતું કે, પૂર તો આવવાનું જ છે. જેથી અમે અગાઉથી તરાપાનું પૂજન અર્ચન કરીને તૈયારીઓ કરી રહ્યા છે. જેથી કરીને વિસ્તારના લોકોને કોઇ તકલીફ ના પડે, અને તેમને મદદ મળી રહે. પાણી ભરાય ત્યારે તરાપાની મદદ મળી રહે તે અમારો ઉદ્દેશ્ય છે. ગત વર્ષે જ્યારે પાણી ભરાયું હતું ત્યારે પાલિકા તરફથી કોઇ ખાસ મદદ મળી શકી ન હતી. જેથી આ વખતે પણ પાલિકા તંત્રની યોગ્ય મદદ ના મળી તો ફરી મુશ્કેલીઓ ના પડે તે માટે સ્થાનિકો દ્વારા તરાપાનું પૂજન કરવામાં આવ્યું હતું