Gujarat

સિહોરમાં ન.પાલિકાના પાપે છતે પાણીએ શિયાળામાં લોકો તરસ્યા

By GS TEAM
13 Nov 20251 min read
સિહોરમાં ન.પાલિકાના પાપે છતે પાણીએ શિયાળામાં લોકો તરસ્યા

વર્ષમાં બે મહિના માંડ પાણીનું વિતરણ છતાં પાણી વેરો પૂરો ઉઘરાવતું તંત્ર

ફિલ્ટર પ્લાન્ટ પાણીથી ભર્યો પણ માત્ર દેખાડા માટે, પાણીનું વિતરણ થતું નથી

સિહોર: સિહોરમાં નગરપાલિકા તંત્રના પાપે લોકો છતે પાણીએ શિયાળામાં પણ તરસ્યા રહે છે. તંત્રની અણઆવડતના કારણે ૮-૧૦ દિવસે પીવાના પાણીનું વિતરણ થાય છે. જેના કારણે સિહોરવાસીઓને હાડમારી વેઠવી પડી રહી છે.

સિહોર ન.પા. દ્વારા ૧૨મા નાણાંપંચ હેઠળ ૧૪૯.૮૩ લાખના ખર્ચે ૧૪ એમએલડી ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યાને ૧૪ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. પ્લાન્ટના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેમ બે દિવસમાં પાણી ઓછું થઈ જવાની સમસ્યા સર્જાતા જે-તે સમયે ભારે વિવાદ ઉભો થયો હતો અને એજન્સીને નોટિસ પણ અપાઈ હતી. આજની સ્થિતિએ ફિલ્ટર પ્લાન્ટમાં પાણી તો ભરવામાં આવ્યું છે, પરંતુ માત્ર દેખાડા માટે હોય તેમ શુદ્ધ પાણીનું વિતરણ થતું નથી. હાલ મહી પરીએજમાંથી દરરોજ ૧૦ એમએલડી પાણી મળે છે. ગૌતમેશ્વર તળાવ પણ આખું ભરેલું છે, તેમ છતાં જનતાને અઠવાડિયે પાણી અપાઈ છે, તે પણ દુર્ગંધયુક્ત! જેના કારણે ઘરે-ઘરે પાણીજન્ય રોગચાળો ફેલાવાની દહેશત કાયમ રહે છે. આ અંગે ચીફ ઓફિસર દ્વારા યોગ્ય તપાસ કરી લોકોને નિયમિત રીતે શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવે તેવી માંગણી ઉઠી છે.