રતનપરમાં 5 ના બદલે 8 કલાક વીજ પુરવઠો બંધ રહેતાં લોકો ત્રસ્ત
- કાળઝાળ ગરમીમાં રાહત આપવાના બદલે તંત્રની આડોડાઈ
- પાવર કાપના કારણે ઉદ્યોગ-ધંધા, રોજગાર ઉપરાંત ખેતીવાડીની કામગીરી પણ અટકી પડી
ઉમરાળા તાલુકાના રતનપરમાં ૬૬ કેવી સબ સ્ટેશનમાં કામગીરી સબબ સોમવારે સવારે ૬ થી૧૧ પાંચ કલાક વીજળી પુરવઠો બંધ રાખવાની જેટકો દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પાંચના બદલે આઠ કલાક પાવર બંધ રાખી તંત્રએ કાળઝાળ ગરમીમાં લોકોને પરેશાન કરી મૂક્યા હતા. રતનપર ૬૬ કેવી સબસ્ટેશન સાથે જોડાયેલા રતનપર ઉપરાંત આસપાસના પંથકના લોકો બપોરના બે વાગ્યા સુધી ગરમીથી ઉકળી ઉઠયા હતા.જયારે, વીજપુરવઠાના અભાવે સ્થાનિક ઉપરાંત તાલુકા મથકની બેંકો, તમામ કચેરીઓ, દવાખાના ગ્રામ્ય પંથકની પાણી પુરવઠા યોજનાઓ, વીજળી આધારિત ધંધા-રોજગાર તેમજ ખેતીવાડી વિગેરે પર પાવર કાપનો પ્રભાવ પડયો હતો. સતત આઠ કલાક બંધ રહ્યા પછી આખરે બપોરના બે વાગે વીજ પુરવઠો ચાલુ થતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.