માતરના મહેલજ ગામે શેખુપુરામાં પીવાના પાણી માટે લોકોનો રઝળપાટ
- 4 મહિના બાદ કોઈ કાર્યવાહી નહીં થતા હાલાકી
- ખારું પાણી આવતા અન્ય સ્થળે બનાવવાની રજૂઆતના લીધે બોર નહીં બનાવ્યાનો તંત્રનો દાવો
માતર તાલુકાના મહેલજ ગામના શેખૂપુરા પરા વિસ્તારમાં પીવાના પાણી માટે કોરોના કાળમાં બોર બનાવવાનું કામ મંજૂર થયું હતું. પરંતુ કોઈ કારણસર હજુ સુધી બનાવવામાં આવેલો નથી. જેથી સ્થાનિક વિસ્તારના લોકોને પીવાના પાણી માટે ઘણી હાલાકી ભોગવવી પડે છે. આ અંગે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતા ફેબુ્રઆરી ૨૦૨૫માં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાઈ હતી. ત્યારે સત્તાધીશો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી જેને ચાર માસ થવા છતાં હજુ સુધી પીવાના પાણીના પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા પરા વિસ્તારના લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારી વ્રજ પટેલે જણાવ્યું હતું કે, જે સ્થળે બોર કૂવો બનાવવાનો હતો ત્યાં પાણીનો નમુનો લેતા ખારું પાણી આવ્યું હોવાનું જણાતા ત્યાંના લોકોએ અન્ય સ્થળે બોર બનાવવા લેખિતમાં જણાવ્યું હતું. જેથી બોર બનાવવામાં આવેલો નથી. આ અંગે સરપંચનો સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ કરી મૂકી દીધો હતો. ત્યારે સત્તાધીશો દ્વારા શેખુપુરા પરા વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી દૂર કરવા લાગણી વ્યાપી છે.