Gujarat

લખતરની મુખ્ય બજારમાં રખડતા શ્વાનના ત્રાસથી લોકોને હાલાકી

By GS TEAM
27 Nov 20251 min read
લખતરની મુખ્ય બજારમાં રખડતા શ્વાનના ત્રાસથી લોકોને હાલાકી

તંત્રને અનેક રજૂઆતો છતાં નિષ્ક્રિય

બજાર અને મંદિર નજીક શ્વાનોનો અડિંગો, રાહદારીઓ અને શ્રદ્ધાળુઓને બચકાં ભરવાનો ભય

લખતરલખતર શહેરની મુખ્ય બજારમાં છેલ્લા ઘણા સમયથી ૫ થી ૬ રખડતા શ્વાન રસ્તા વચ્ચે તેમજ બજારમાં આવેલા મંદિર નજીક અડિંગો જમાવીને બેસી રહે છે. જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ, વિદ્યાર્થીઓ, સિનિયર સિટિઝન્સ અને દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

રસ્તા પર રખડતા શ્વાન દ્વારા રાહદારીઓ અને શ્રદ્ધાળુઓને બચકાં ભરવાનો પણ ભય રહેલો છે. આ અંગે સ્થાનિક આગેવાનોએ જવાબદાર તંત્રને અનેક વખત લેખિત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આ જ રસ્તાનો ઉપયોગ કરે છે, તેમ છતાં તંત્ર કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થવાના બનાવની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રખડતા શ્વાનોને ઝડપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સખ્ત માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.