ઉમરાળામાં વીજપુરવઠાના ધાંધિયાથી લોકો ત્રાહિમામ
- કાળઝાળ ગરમીમાં રાહત મળે તેવી લોકમાંગ
- જર્જરીત તાર, થાંભલા અને ટી.સી. બદલવામાં વિલંબ દાખવાતા રોજીંદા વિજકાપની સમસ્યા યથાવત
ઉમરાળામાં વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાવા પાછળ ક્યારેક વીજ લાઈના તાર તૂટવાનું કે થાંભલો તૂટવાનું તો વળી ક્યારેક ટીસી બળી જવાનું કે બગડી જવાનું કારણ અપાતું હોય છે,પણ આવું બન્યા કરવાના કારણો કયા ? એ પ્રશ્ન અનુત્તર જ રહે છે. જો કે લોકો એવું માને છે કે તાલુકા મથકે ફોલ્ટ નિવારણ સેન્ટર હોવું જોઈએ તે નથી. અગાઉ અહીં બે હેલ્પર હતા.૧૯૯૦ પછી કાપ મૂકી એક જ હેલ્પરથી ગાડું ગબડાવાય છે. જયારે ૧૯૯૦ પછી ગામનો વિસ્તાર ખૂબ વધ્યો છે. આથી ખરેખર તો ત્રણ કે વધુ હેલ્પર હોવા જોઈએ તેના બદલે હાલ સમ ખાવા પૂરતા એકમાત્ર છે. તાલુકા મથકના વીજળી પુરવઠાના પ્રશ્નના કાયમી ઉકેલ માટે અહીં પહેલું કામ ફોલ્ટ નિવારણ સેન્ટર શરૂ કરવાની જરૂર છે.ઉપરાંત વીજ લાઈનના જૂના, જર્જરિત તાર, થાંભલા અને ટીસી બદલવા જરૂરી હોવાનું તથા વીજળી લાઈનને અડતી વૃક્ષોની ડાળીઓ નિયમિત કાપવામાં આવે તેવી કાયમી વ્યવસ્થા પણ જરૂરી હોવાનું લોકો માને છે અને પાવર સપ્લાયના ભંગાણોનો કાયમી અંત ઇચ્છે છે.