આણંદના ઝાંખરિયા- નાવલી રોડ પર વાહનની ટક્કરે રાહદારીનું મોત

- અકસ્માત સર્જી ચાલક વાહન લઈ ફરાર
- નાવલી ગામથી કરિયાણું લઈ પરત પોલ્ટ્રી ફાર્મ આવતા વ્યક્તિને અકસ્માત : સારવારમાં લઈ જતા મૃત્યુ
નાવલી ગામે રહેતા અશોકભાઈ ઉર્ફે મહેશ મંગળભાઈ ચુનારાના પિતા મંગળભાઈ ગઈકાલ સાંજે પોલ્ટ્રી ફાર્મથી નાવલી ગામમાં કરિયાણું લેવા ગયા હતા. જ્યાંથી તેઓ મોડી સાંજે પરત આવી રહ્યા હતા. ત્યારે ઝાંખરીયા નાવલી રોડ ઉપર આવેલા પોલ્ટ્રી ફાર્મ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે મંગળભાઈને ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. ૧૦૮ મારફતે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મંગળભાઈને સારવાર અર્થે તુરંત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવાની કામગીરી હાથ ધરાઈ હતી. જો કે, રસ્તામાં જ તેઓનું મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.