Get The App

જામનગરમાં દિવાળીના તેહવાર નિમિત્તે હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં દિવાળીના તેહવાર નિમિત્તે હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ 1 - image

Jamnagar Police : જામનગર શહેર અને જીલ્લામાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઇ તા.15.10.2025, બુધવારના રોજ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં આગામી દિવસમાં દિવાળીના તહેવાર હોય, તે દરમ્યાન જામનગર શહેરમાં શાંતિ તથા ભાઇચારાનું વાતાવરણ જળવાઇ રહે અને શાંતિપૂર્ણ રીતે તહેવારો ઉજવાય તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી.

સુરક્ષા વ્યવહાર જાળવવા ન ભાગરૂપે શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા દ્વારા અગ્રણીઓને વધુ જણાવ્યું કે, તેહવારોમાં કોઇપણ પ્રકારની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઇપણ ધર્મ વિશે અપમાનજનક પોસ્ટ કરવી નહીં, દિવાળી વેકેશન દરમ્યાન નોકરીયાત વર્ગોએ વતનમાં જતા પહેલાં પોતાના ઘરમાં રાખેલ કિંમતી સોના-ચાંદીના દાગીના, રોકડ રૂપીયા બેંકમાં લોકરમાં રાખવા કે કોઇ સુરક્ષીત જગ્યાએ રાખ્યા બાદ જ વતનમાં જવું.

ઉપરાંત ફટાકડા જાહેર રોડ પર "નહી" ફોડવા અને ટ્રાફિક ની સમસ્યા ઉભી "ન" થાય તે બાબતે ખાસ તકેદારી રાખવા. તેમજ, નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા અને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા બંને સમાજના અગ્રણીઓને કોઇ અનિચ્છનીય બનાવ 'ન' બને તે માટે સંપૂર્ણ પણે કાળજી રાખવા અને જો કોઇ બનાવ બને તો તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી.

ઉપરાંત દરેક સમાજના અગ્રણીઓને દિવાળીના તેહવારની શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી. જેની સામે હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા સાથ-સહકાર આપવામાં આવશે તેમ અધિકારીઓને ખાતરી આપવામાં આવી હતી. આ શાંતિ સમિતિની બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.