'25મી વખત ભેગા થયા, કાંઈ નવું નથી, પણ ગોંડલ જેવા મુદ્દે ચર્ચા કરી', ગાંધીનગરમાં પાટીદારોની બેઠક અંગે બોલ્યા અલ્પેશ કથીરિયા
Gandhinagar News : ગાંધીનગરના સરગાસણમાં આજે (28 જૂન) આયોજિત ચિંતન શિબિરમાં પાટીદાર આગેવાનો એકમંચ પર જોવા મળ્યા હતા. પાટીદાર આંદોલનકારીઓની આ બેઠકમાં સામાજિક સમસ્યાની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મોટાભાગના પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) કન્વીનરો હાજર રહ્યા હતા.
ગાંધીનગરમાં પાટીદારોની ચિંતન સિબિર
પાટીદાર આગેવાનોની આજે રવિવારે ગાંધીનગર બેઠક મળી હતી. જેમાં ગોંડલ ભયમુક્ત બનાવવા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBCની માફક EWSને અનામત, કોર્ટ મેરેજમાં (ભાગીને લગ્ન કરવામાં) રજિસ્ટ્રેશનમાં માતા-પિતાની ફરજિયાત સહમતિ સહિતના 7 જેટલા મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે અમદાવાદ PAAS કન્વીનરોને આમંત્રિત ન કરાતા હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે.
બેઠકમાં રાજકીય અને સામાજિક સહિતના મુદ્દે ચર્ચા કરાઈ
- લગ્ન નોંધણીમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત
- ઓનલાઇન ગેમ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે
- ગોંડલ બાબતે આગેવાનો સાથે બેસી આગળની રણનીતિ તૈયાર કરવી
- બિન અનામત આયોગમાં ચેરમેનની નિમણૂકની માંગ
- સ્થાનિક સ્વરાજ્ય અને ચૂંટણીમાં EWSની જોગવાઈ
- અનામત આંદોલન સમયના પોલીસ કેસ પાછા ખેંચવા
- કરમસદને આણંદ મનપામાં ન સમાવી સરદારધામ બનાવવા માંગ
- યુવા સ્વાલંબન અને બિનઅનામત આયોગનું ધાંધલી દૂર કરવું, બજેટનો વપરાશ અને વધારો કરવો
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, 13થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ
ગાંધીનગરમાં આયોજિત ચિંતન શિબિરમાં અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, રેશમા પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. જ્યારે બેઠકમાં હાર્દિક પટેલ અને ગોપાલ ઈટાલિયા ગેરહાજર રહ્યા હતા.
અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, '25મી વખત ભેગા થયા, કાંઈ નવું નથી. પણ મિટિંગ કરવાને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. મોરબીના પ્રશ્નો, લગ્ન, વ્યાજ, ગેમિંગ સહિતના અલગ-અલગ મુદ્દાઓ આગેવાનોએ રજૂ કર્યા છે. '