-નવી ટ્રેન, વિશેષ ટ્રેન નિયમિત કરવા, દૈનિક ટ્રેન, રૃટના વિસ્તરણની માંગ પુરી નહી થાય તો આંદોલનની ચીમકી
સુરત
ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિના પ્રતિનિધિઓએ આજે ભેસ્તાન રેલવે સ્ટેશને રેલવે બોર્ડની મુસાફર સુવિધા સમિતિને આવેદનપત્ર સુપ્રત કરીને નવી ટ્રેનોની માગણી કરી. અપર્યાપ્ત ટ્રેનોને કારણે મુસાફરોને ભારે હાડમારી ભોગવવી પડી રહી હોવાનું કહ્યું હતું.
દક્ષિણ ગુજરાત દેશનું મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર છે, જેમાં દેશભરના ખાસ કરીને ઉત્તર ભારતમાંથી ૨૦ લાખથી વધુ લોકો રોજગારી મેળવે છે. આવાગમન માટે એકમાત્ર સાધન રેલ છે. પરંતુ ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોની સંખ્યા મુસાફરોની સંખ્યાની સરખામણીમાં લગભગ નહિવત છે, જેથી ઘેટા-બકરાની જેમ જવાની ફરજ પડે છે, એમ રજૂઆત કરતા જણાવ્યું હતું.
ઉત્તર ભારતીય રેલ્વે સંઘર્ષ સમિતિ રેલવે તંત્રને વિનંતી કરે છે કે તેઓ દ્વારા અગાઉ આપેલા વચન મુજબ માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ કરે અન્યથા ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર થવું પડશે.
રેલવે સંઘર્ષ સમિતિએ આવેદનપત્ર આપી સુરતથી અયોધ્યા, પટના તથા સુરતથી રાંચી વાયા ભુસાવલ નવી ટ્રેન શરૃ કરવા, મુંબઈ સેન્ટ્રલ ભાગલપુર વિશેષ ટ્રેનને નિયમિત કરવા, તથા ઉધના-દાનાપુર, શ્રમિક એક્સપ્રેસ તથા સુરત-મુઝફ્ફરપુર એક્સપ્રેસને દૈનિક કરવા અને બાંદ્રા ઝાંસી એક્સપ્રેસના રૃટનું વિસ્તરણ કરી બાંદ્રાથી ગોરખપુર કરવામાં આવે તેવી માંગ કરી હતી.


