Gujarat

જાફરાબાદના બંદર ચોક સુધી બસ આવતી ન હોય મુસાફરોને હાલાકી

By GS TEAM
10 Feb 20262 mins read
જાફરાબાદના બંદર ચોક સુધી બસ આવતી ન હોય મુસાફરોને હાલાકી

- એક સાઈડ રોડ બની ગયો હોવા છતા દુર્લક્ષ્ય 

- મુસાફરોને મન કમને એક કિ.મી.દૂર બસ સ્ટેશન સુધી પગપાળા જવુ પડે છે, તંત્રની મનમાની સામે રોષ

રાજુલા : જાફરાબાદ શહેરમાં આવતી એસ.ટી.બસ છેલ્લા કેટલાક સમયથી બંદર ચોક જુના બસ સ્ટેશન સુધી આવતી ન હોય તેના કારણે મુસાફર જનતા રઝળી પડે છે. એસ.ટી.તંત્રની મનમાની સામે આ પંથકના લાભાર્થી ગામોના લોકોમાં કચવાટ વ્યાપેલ છે.

જાફરાબાદના જુના બસ સ્ટેશન સુધી બસ નહિ આવવાથી મુસાફરોમાં આક્રોશ વધ્યો છે. એક સાઈડ રોડ બની ગયો હોવા છતાં એસ. ટી. બસ બંદર ચોક સુધી લાવવામાં અખાડા કરાતા હોય મુસાફરોને મને કમને એક કિ.મી. દૂર બસ સ્ટેશન સુધી પગપાળા જવુ પડે છે.  આ ગંભીર બાબતે સ્થાનિકો દ્વારા રજુઆત કરાતા તંત્ર દ્વારા જણાવાયુ હતુ કે, ત્યાં આર.સી.સી. રોડ બનતો હોય એસ.ટી.બસ આવી શકતી નથી. પરંતુ તેની સામે ખાનગી લકઝરી બસો તેમજ અન્ય હેવી વાહનો આ જ રોડ પરથી પસાર થઈ બંદર ચોક સુધી આવી રહ્યા છે. પરંતુ એસ.ટી.બસના ડ્રાઈવરની મનમાનીથી  બંદર ચોક સુધી બસ લાવતા નથી. જયારે અન્ય ડેપોની બસ જેમ કે, ઉના, સાવર કુંડલા વગેરે ડેપોની બસ બંદર ચોક સુધી આવે છે. આથી મુસાફરોને ભારે હેરાનગતિ વેઠવાનો વખત આવે છે. બસ સ્ટેશન નજીક ચોકડીની બાજુમાં આર.સી.સી. રોડ બની ગયો હોય ત્યાંથી હેવી વાહનો તથા ખાનગી વાહનો એક સાઈડમાંથી જતા હોય તેમાં સિનીયર સિટીઝન, બાળકો,મહિલાઓ તેમજ દર્દીઓને બંદર ચોક સુધી પગપાળા જવુ પડી રહ્યુ છે.