Gujarat

ભાવનગર રેલવે ટર્મિનસથી મુસાફર ટ્રેનો મોડી ઉપડતા યાત્રિકો અટવાયા

By GS TEAM
30 May 20261 min read
ભાવનગર રેલવે ટર્મિનસથી મુસાફર ટ્રેનો મોડી ઉપડતા યાત્રિકો અટવાયા

પેયરિંગ રેક ત્રણ કલાક મોડી આવતા સમસ્યા સર્જાઈ

કાળાકોપના તડકામાં યાત્રિકોને ધક્કા થયા ઃ બેથી ત્રણ કલાક ટ્રેનો મોડી પડી, આયોજનો વિખાયા

ભાવનગરભાવનગર રેલવે ટર્મિનસથી ઉપડતી ત્રણ લોકલ પેસેન્જર ટ્રેન બેથી ત્રણ કલાક મોડી ઉપડતા મુસાફરો અટવાયા હતા. પ્લેટફોર્મ ઉપર ટ્રેન મોડી પડવા અંગે કોઈ જાણ કરવામાં આવી ન હોવાનો કકળાટ મુસાફરોમાં કકળાટ સાંભળવા મળ્યો હતો.

જાણવા મળ્યા મુજબ ભાવનગરથી બપોરે ૧-૩૦ કલાકે ઉપડતી સુરેન્દ્રનગર ટ્રેન આજે શુક્રવારે અઢી કલાક મોડી ચાલી હતી. તેવી જ રીતે ભાવનગર-પોરબંદર ટ્રેન પણ બે કલાક મોડી દોડી હતી. રેલવે તંત્ર દ્વારા પેયરિંગ રેક મોડી ચાલવાના કારણે ટ્રેનોના શિડયૂલ ખોરવાતા સમસ્યા સર્જાઈ હોવાનું સોશિયલ મીડિયા ઉપર જાણ કરી દેવામાં આવી હતી. પરંતુ રેલવે સ્ટેશનો પર ટ્રેન મોડી થશે તેવી કોઈ જ માહિતી ઉપલબ્ધ કરવામાં આવી ન હોવાથી બપોરના સમયે કાળાકોપના તડકામાં યાત્રિકોને ધરમના ધક્કા થયા હોવાનો લોકોએ રોષ ઠાલવ્યો હતો. ઘણાં મુસાફરોને તો રેલવે સ્ટેશનમાં જ પડયા રહેવું પડયું હતું. આ ઉપરાંત પેયરિંગ રેક મોડી ચાલવાના કારણે મહુવા-ભાવનગર ટ્રેન પણ ત્રણ કલાક મોડી પડી હતી. વધુમાં ધોળા-જાળિયા વચ્ચે ઈલેક્ટ્રિક વાયર ડેમેજ થતા રેલવે તંત્ર દોડતું થયું હોવાનું મુસાફરોએ જણાવ્યું છે. લોકલ પેસેન્જર ટ્રેનોના શિડયૂલ ખોરવાતા મુસાફરોના આયોજનો વિખાયા હતા.