ઝાલાવાડમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ
દેરાસરોમાં પર્યુષણ વિશેષ વ્યાખ્યાન યોજાશે
આઠ દિવસશ્રાવક-શ્રાવિકાઓ પ્રભુનું તપ, આરાધના સાથે પૂજન અર્ચન કરશે ઃ મુમુક્ષુઓ ઉપવાસી વ્રત કરશે
સુરેન્દ્રનગર - જૈન ધર્મમાં અનોખું મહત્વ ધરાવતા પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થઈ રહ્યો હોઈ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો સહિત જીલ્લાના લખતર, ધ્રાંગધ્રા, પાટડી, ચોટીલા સહિતના તમામ તાલુકાઓમાં જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન ગુરૃભગવંતોના વ્યાખ્યાનો ઉપરાંત તેમની નિશ્રામાં આરાધકો અઠ્ઠઈ તપની આરાધનાનો પ્રારંભ કરશે સાથોસાથ તહેવારોની હારમાળા જામી છે.
એક તરફ શ્રાવણ માસ પૂર્ણાહૂતિને આરે છે ત્યાં હવે આજથી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થશે. પર્યુષણના આઠ-આઠ દિવસ સુધી જૈનો પોતાના મન-વચન-કાયાના દોષોરૃપી ભૂલોની માફી માંગી ખમાવશે. પર્યુષણ પર્વ નિમિત્તે કલ્પસૂત્ર વાંચન, મહાવીર સ્વામી જન્મ વાંચન, સંવત્સરીનું પર્વ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. લખતર મધ્યે આવેલ ૧૪૫ વર્ષ પ્રાચીન જૈન દેરાસર ખાતે વહેલી સવારથી શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા પ્રભુનું તપ, આરાધના સાથે ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરીને કર્મોેની નિઝરા કરવા સાથે પર્યુષણ પર્વ દરમિયાન પૂજા, અર્ચના, આરતી, ત્યાગ, તપસ્યા, ઉપવાસમાં વધારેમાં વધારે સમય પસાર કરી આરાધના સાથે સાત્વિકતાથી પ્રભુની પ્રાર્થના કરશે. પર્યુષણ પર્વને આવકારવા માટે દેરાસરો રોશનથી ઝળહળી ઉઠયા છે અને ફુલોથી વિશેષ શણગાર કરાયો છે. પર્યુષણ પર્વના આઠ દિવસ વિશેષ વ્યાખ્યાન આપવામાં આવશે.