Gujarat

ડભોડાની જમીનમાં ભાગ નહીં આપી ભાગીદારે કરોડોની છેતરપિંડી કરી

By GS TEAM
2 Sep 20252 mins read
ડભોડાની જમીનમાં ભાગ નહીં આપી ભાગીદારે કરોડોની છેતરપિંડી કરી

ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી થયેલા નફામાંથી ખરીદાયેલી

વર્ષ ૨૦૧૪માં એક ભાગીદાર ૪૦ લાખ લઈ જમીનમાંથી છૂટા થતાં બે જ ભાગીદારો રહ્યા ઃ ડભોડા પોલીસની તપાસ

ગાંધીનગર :  મિત્રતામાં ટ્રાન્સપોર્ટ કંપની શરૃ થયા બાદ તેમાંથી થયેલા નફામાંથી ડભોડાની જમીન એક ખેડૂત ભાગીદારના નામે રાખવામાં આવી હતી. જો કે હવે આ ભાગીદાર મિત્ર દ્વારા જમીનમાં ભાગ નહીં આપવામાં આવતા કલેકટરની સીટમાં ફરિયાદ કરવામાં આવી હતી અને તેના આધારે આખરે ડભોડા પોલીસ મથકમાં છેતરપીંડી કરનાર ભાગીદાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ઉસ્માનપુરા ખાતે દરિયાપુર પટેલ સોસાયટીમાં રહેતા અને મૂળ ઉવારસદ ગામના વિપુલકુમાર રસિકલાલ શાહ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમણે અને જયેશકુમાર માણેકલાલ સુથાર અને કોબા ગામની મંથન વિલા સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ પ્રહલાદભાઈ પટેલે ૨૦૦૪માં મેસર્સ શિવ ટ્રાન્સપોર્ટ અને ૨૦૦૫માં મેસર્સ શિવશક્તિ સવસીસ નામની બે ભાગીદારી કંપનીઓ શરૃ કરી હતી.

આ બંને કંપનીઓમાંથી થયેલા નફામાંથી, ભાગીદારો જમીન ખરીદતા હતા. ૨૦૦૭માં, તેમણે ડભોડા ગામની હદમાં આવેલી ૯,૨૯૨ ચોરસ મીટરની જમીન ખરીદી હતી. આ જમીન ગોવિંદભાઈ પ્રહલાદભાઈ પટેલના નામે નોંધાવવામાં આવી હતી કારણ કે તેઓ ખેડૂત હતા, જ્યારે અન્ય ભાગીદારો ખેડૂત નહોતા. કરાર મુજબ, આ જમીનમાં ત્રણેય ભાગીદારોનો સરખો હિસ્સો હતો. ૨૦૧૪માં, નાણાકીય જરૃરિયાત ઊભી થતાં જયેશકુમાર સુથાર ભાગીદારીમાંથી અલગ થયા હતા. ભાગીદારીના હિસાબ મુજબ, તેમને ૪૦,૦૦,૦૦૦ રોકડા આપ્યા બાદ ડભોડાની જમીનમાં તેમનો હિસ્સો પૂર્ણ થયો હોવાનું નોટરાઇઝ્ડ કરારમાં દર્શાવવામાં આવ્યું હતું. આ કરારમાં ત્રણેય ભાગીદારોની સહીઓ અને ફોટા હતા, વિપુલકુમારે ઓગસ્ટ ૨૦૨૩માં ગોવિંદભાઈ પટેલને ભાગીદારીનો હિસાબ કરવા અને ભાગીદારીમાંથી છૂટા થવા જણાવ્યું હતું પરંતુ ગોવિંદભાઈએ કોઈ જવાબ આપ્યો નહોતો. જ્યારે વિપુલકુમારે ડભોડાની જમીનમાં પોતાના હિસ્સાની જમીન અથવા તેના પૈસાની માંગણી કરી, ત્યારે ગોવિંદભાઈએ જમીનના ઊંચા ભાવને કારણે અને રેવન્યુ રેકોર્ડમાં ફક્ત તેમનું જ નામ હોવાને કારણે હિસ્સો આપવાનો ઇનકાર કર્યો હતો.

ગોવિંદભાઈએ વિપુલકુમારને ધમકી પણ આપી હતી અને કહ્યું હતું કે ધતમારાથી થાય તે કરી લો હું તમને કોઈ ભાગ નહીં આપું.ધ જેથી તેમણે કલેકટરની સીટમાં ફરિયાદ કરી હતી અને ગાંધીનગર એલસીબી દ્વારા તપાસ કર્યા બાદ આ મામલે ડભોડા પોલીસ મથકમાં ગોવિંદભાઈ પ્રહલાદભાઈ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.