Gujarat

અમદાવાદમાં પાર્કિંગ બાબતે મહિલા વકીલને શખસે લાફા મારી દીધા, સોનાની ચેન ગુમ થઈ

By GS TEAM
22 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલી જૂની કલેક્ટર કચેરીના કોર્ટ કમ્પાઉન્ડમાં કાયદાના રક્ષકો જ આમને-સામને આવી ગયા હોવાની ઘટના સામે આવી હતી. અહીં માત્ર પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક મહિલા વકીલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મહિલા વકીલ ઈજાગ્રસ્ત થયા હતા અને ઝપાઝપી દરમિયાન તેમની સોનાની ચેન પણ ગુમ થઈ હોવાનું સામે આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં પાર્કિંગ બાબતે મહિલા વકીલને શખસે લાફા મારી દીધા, સોનાની ચેન ગુમ થઈ

Ahmedabad News: અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલી જૂની કલેક્ટર કચેરીના કોર્ટ કમ્પાઉન્ડમાં કાયદાના રક્ષકો જ આમને-સામને આવી ગયા હોવાની ઘટના સામે આવી હતી. અહીં માત્ર પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક મહિલા વકીલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મહિલા વકીલ ઈજાગ્રસ્ત થયા હતા અને ઝપાઝપી દરમિયાન તેમની સોનાની ચેન પણ ગુમ થઈ હોવાનું સામે આવ્યું હતું.

જાણો શું છે સમગ્ર મામલો

આ ઘટનામાં ભોગ બનનાર ફરિયાદી મહેશ્વરીબેન સુતરિયા છે. જેઓ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહે છે અને છેલ્લા ઘણાં સમયથી ઘી કાંટા કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. ગત 19મી ડિસેમ્બરના રોજ જ્યારે તેઓ પોતાની ફરજ પર હતા, ત્યારે અન્ય વકીલો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમને શારીરિક ઈજાઓ પહોંચવા ઉપરાંત આર્થિક નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે, જે બદલ તેમણે હવે ન્યાય મેળવવા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

19મી ડિસેમ્બરે બપોરે આશરે 12:30 વાગ્યે મહેશ્વરીબેન કોર્ટ કમ્પાઉન્ડમાં પોતાના ટેબલ પર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન મેટ્રો કોર્ટમાં વકીલાત કરતા સમસાદબાનુ શેખ અને તેમની સાથે જહાંગીરખાન પઠાણ વાહન લઈને ત્યાં આવ્યા હતા. તેમણે મહેશ્વરીબેનને પોતાની ખુરશી હટાવવા કહ્યું, પરંતુ પાર્કિંગ ફૂલ હોવાથી મહેશ્વરીબેને તેમને યોગ્ય રીતે વાહન પાર્ક કરવા અને અવરજવર માટે જગ્યા રાખવા સૂચન કર્યું હતું.

પોલીસે ત્રણ શખસો સામે ફરિયાદ નોંધી 

આ સૂચનથી ઉશ્કેરાઈને જહાંગીરખાન પઠાણે મહેશ્વરીબેનને 4-5 લાફા મારી દીધા હતા, જેના કારણે તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ સમસાદબાનુએ પણ તેમને ગડદા-પાટુનો માર માર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન મહેશ્વરીબેનના ગળામાં રહેલી સોનાની ચેન પણ ક્યાંક પડી ગઈ હતી. અન્ય વકીલોએ વચ્ચે પડીને તેમને છોડાવ્યા હતા. બાદમાં જ્યારે તેઓ આરોપીઓના નામ જાણવા મેટ્રો કોર્ટમાં ગયા, ત્યારે સિનિયર વકીલ રમેશ છતલાણીએ પણ તેમને ધમકાવ્યા હતા. હાલ મહેશ્વરીબેન સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસે ત્રણેય શખસો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.