- નડિયાદ શહેરના કોલેજ રોડ પર આવેલા
- પાર્કિંગની નિર્ધારિત જગ્યામાં ગંદકી અને બિસ્માર : સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતા લોકોમાં રોષ
નડિયાદ : નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર આવેલા અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની સુવિધા હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાના કારણે શહેરની ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ રહી છે. ખાસ કરીને કોલેજ રોડ જેવા ધમધમતા વિસ્તારોમાં આવેલા કોમ્પ્લેક્સમાં પાર્કિંગની જગ્યા ગંદકીથી ભરેલી હોવા અથવા તો માલિકો દ્વારા તે જગ્યાનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાથી વાહન ચાલકોને ફરજિયાતપણે રસ્તા પર વાહન ઉભા રાખવા પડે છે. આ મામલે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નડિયાદના શૈક્ષણિક અને વ્યાપારિક હબ સમાન કોલેજ રોડ પર ઇસ્કોન કોમ્પ્લેક્સ આવેલું છે. આ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ માટે નિર્ધારિત કરવામાં આવેલી જગ્યા છેલ્લા ઘણાં સમયથી અત્યંત બિસ્માર અને ગંદકીથી ખદબદતી હાલતમાં જોવા મળે છે. પાર્કિંગની જગ્યામાં ગંદકી અને યોગ્ય જાળવણીના અભાવે વાહન ચાલકો પોતાના વાહનો અંદર લઈ જઈ શકતા નથી. પરિણામે દુકાનદારો અને ગ્રાહકોએ પોતાના વાહન મુખ્ય માર્ગ પર પાર્ક કરવા પડે છે, જેના કારણે પીક અવર્સમાં આ રોડ પર વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે.
શહેરના આજ રસ્તા પર આવેલા વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં આવેલા શીતવંદન કોમ્પ્લેક્સના માલિક દ્વારા પાર્કિંર્ંગની જગ્યા માસિક ભાડાપટ્ટે અન્ય લોકોને આપી દેવામાં આવી હોવાના આક્ષેપો ઉઠી રહ્યાં છે. આ ગેરરીતિના કારણે કોમ્પ્લેક્સમાં આવતા મુલાકાતીઓ અને ત્યાં કામ કરતા લોકો માટે પાર્કિંગની કોઈ જગ્યા બચી નથી. જેનો સીધો ફટકો સામાન્ય જનતાને પડી રહ્યો છે અને રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી રહી છે. નડિયાદ મહાનગરપાલિકાના નિયમો મુજબ દરેક કોમર્શિયલ બિલ્ડિંગમાં પાર્કિંગની વ્યવસ્થા હોવી અનિવાર્ય છે. જોકે શહેરના મોટાભાગના કોમ્પ્લેક્સમાં આ નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ઘણા કિસ્સામાં પાર્કિંગની જગ્યામાં દુકાનો બનાવી દેવામાં આવી છે અથવા તો ભંગારના ગોડાઉન તરીકે તેનો ઉપયોગ થઈ રહ્યો છે.
આ અંગે પાલિકા તંત્ર બધું જ જાણતું હોવા છતાં ભેદી મૌન સેવી રહ્યું હોય તેમ જણાય છે. તંત્રની આ ઢીલી નીતિના કારણે કોમ્પ્લેક્સ માલિકો બેફામ બન્યા છે અને રસ્તા પર પસાર થતા લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાવું પડે છે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની ફરિયાદ છે કે, જો મુખ્ય માર્ગો પર આવેલા તમામ કોમ્પ્લેક્સના પાર્કિંગ ખુલ્લા કરી દેવામાં આવે તો ટ્રાફિકની સમસ્યામાં ૫૦ ટકા જેટલો ઘટાડો થઈ શકે તેમ છે. વાહન ચાલકો રસ્તા પર વાહન મૂકવા ઈચ્છતા નથી પરંતુ કોમ્પ્લેક્સમાં સુવિધાના અભાવે તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી. ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તા પર ઉભેલા વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ મૂળભૂત સમસ્યા સમાન કોમ્પ્લેક્સના પાર્કિંગ બાબતે કોઈ તપાસ કરવામાં આવતી નથી.
વધારાના ટીઆરબી જવાન ફાળવાશે : પી.આઈ.
આ સમગ્ર મામલે નડિયાદ ટાઉન પીઆઈ સંજ્યભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોલેજ રોડ પર ટ્રાફિકની જે સમસ્યા સર્જાય છે, તે બાબત તેમના ધ્યાન પર આવી છે. હાલના તબક્કે ટ્રાફિકનું નિયમન કરવા માટે ત્યાં વધારાના ટીઆરબી જવાનો તૈનાત કરવામાં આવશે. જેથી વાહન વ્યવહાર સુરક્ષિત રીતે ચાલતો રહે. જોકે કોમ્પ્લેક્સના પાર્કિંગના પ્રશ્ને મહાનગરપાલિકા દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે પણ જરૂરી છે.
નીતિગત નિર્ણય લેવો જરૂરી
શહેરના વિકાસની સાથે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઇસ્કોન કોમ્પ્લેક્સ અને શીતવંદન કોમ્પ્લેક્સ જેવા એકમો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો આગામી દિવસોમાં આ પાર્કિંગો ખુલ્લા કરાવવામાં નહીં આવે તો ટ્રાફિકની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હાલ તો તંત્ર દ્વારા માત્ર જવાનો મૂકીને કામ ચલાઉ ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કાયમી ઉકેલ માટે નીતિગત નિર્ણય લેવો અનિવાર્ય બન્યો છે.


