Get The App

સંગીતના સૂર સહારો બન્યા, પેરાલિસિસના દર્દીઓના તનાવમાં મ્યુઝિક થેરાપીના કારણે ઘટાડો

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
સંગીતના સૂર સહારો બન્યા, પેરાલિસિસના દર્દીઓના તનાવમાં મ્યુઝિક થેરાપીના કારણે ઘટાડો 1 - image

વડોદરાઃ પેરાલિસિસ( લકવો) એ એવી બીમારી છે જે દર્દીને બીજાના સહારે જીવવા  માટે મજબૂર કરી દે છે.જે દર્દીના તનાવને વધારી દે છે.કારણકે તેને બીજાના સહારે જીવવાનું છે તે વાતનો સતત અહેસાસ થતો રહે છે અને આ તનાવ દર્દીની રિકવરી પર પણ અસર કરે છે.

મૂળે વારાણસીની અને એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસની વિદ્યાર્થિની સિધ્ધિ મંગલમે ફેકલ્ટીના વરિષ્ઠ અધ્યાપક ડો.રાહુલ બરોડિયાના માર્ગદર્શન હેઠળ પીએચડી સંશોધનના ભાગરુપે મ્યુઝિક થેરાપીનો ઉપયોગ કરીને પેરાલિસિસના દર્દીઓના તણાવમાં ૭૫ ટકા સુધીનો ઘટાડો કર્યો છે.આ સંશોધન બાદ તેને પીએચડીની ડિગ્રી પણ એનાયત થઈ છે.આ માટે સિધ્ધિ મંગલમ દક્ષિણ ભારતના સૌથી મોટા અને હૈદ્રાબાદમાં આવેલા પેરાલિસિસના દર્દીઓ માટેના રિહેબિલિએશન સેન્ટરમાં સાત મહિના રોકાઈ હતી.

થેરાપીના ભાગરુપે સિધ્ધિ મંગલમ અને ડો.રાહુલ બરોડિયાએ ભારતી સંગીત આધારિત ૨૧-૨૧ મિનિટના બે  મ્યુઝિક મોડયુલ તૈયાર કર્યા હતા.પેરાલિસિસના દર્દીઓના બે ગુ્રપ પાડવામાં આવ્યા હતા.૩૦ દર્દીઓના ગુ્રપને  રિહેબિલિએશન સેન્ટરમાં અપાતી બીજી થેરાપીની સાથે સવાર-સાંજ મ્યુઝિક થેરાપીના ભાગરુપે આ મોડયુલ સંભળાવવામાં આવતા હતા.સંશોધકોનું કહેવું છે કે, દર્દી સંગીત સાંભળે એ દરમિયાન સંગીત સાથે જ  જોડાયેલા રહે તે માટે તેમની પાસે અલગ અલગ એક્ટિવિટી કરાવવામાં આવતી હતી.થેરાપી શરુ કરી તે પહેલા જેમના તનાવનું સ્તર વધારે હતું તેવા ૨૧ જેટલા દર્દીઓનો  તનાવમાં ૫૦ ટકાનો ઘટાડો થયો હતો.જેમના તનાવનું સ્તર મધ્યમ હતું તેવા દર્દીઓનો તનાવ ઘટીને ૨૫ ટકા સુધી જ રહ્યો હતો.દર્દીઓના તનાવના ડેટાનો વૈજ્ઞાાનિક પધ્ધતિથી અભ્યાસ કરવામાં આવ્યો હતો.જ્યારે જે દર્દીઓના ગુ્રપને આ થેરાપી નહોતી અપાઈ તેમના તનાવના સ્તરમાં વધારે ફરક પડયો નહોતો.

મ્યુઝિક થેરાપી માટે કેવું મોડયુલ તૈયાર કરાયું હતું

-૨૧ મિનિટના મોડયુલના મુખ્ય ચાર હિસ્સા હતા

-પહેલા હિસ્સામાં ઓમકારને મળતો આવતો આલાપ, જેની સાથે દર્દીને મેડિટેશન કરવાનું કહેવાતું હતું

-બીજા હિસ્સામાં દ્રુપદ શૈલીનો રાગ, જે સાંભળતા-સાંભળતા દર્દીએ ખાલી ગણગણવાનું હતું

--ત્રીજા હિસ્સામાં ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક સાથે દર્દીને તેના પરિવાર સાથે સાંકળતો કોઈ હકારાત્મક કિસ્સો સંભળાવાતો હતો

--ચોથા હિસ્સામાં તબલા,મૃદંગ જેવા વાદ્યો સાથે ઈન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિકનો સમાવેશ કરાયો હતો.

-

દર્દીઓના તનાવમાં ઘટાડાની અસરો

મોટાભાગની દર્દીઓ સાથે તેમના જીવન સાથી કે નિકટના સ્વજન કેરટેકર તરીકે રહેતા હતા.તેમના કહેવા પ્રમાણે

-પહેલા ડોકટર કે થેરાપિસ્ટની વાત સાંભળવાની દર્દીઓમાં ધીરજ નહોતી.મ્યુઝિક થેરાપી બાદ વાત શાંતિથી સાંભળતા માંડયા

--ગુસ્સો ઓછો થઈ ગયો અને સ્વભાવ શાંત થઈ ગયો

--પોતે બીજા પર નિર્ભર છે તે વાતની હતાશામાં ઘટાડો થયો

--રિકવરીમાં પણ વધારો થયો

--એક દર્દીના હાથ અગાઉ મૂવમેન્ટ નહોતી થતી, સંગીતના તાલે તેના હાથમાં હલન ચલન જોવા મળ્યું

--કોઈની સાથે ક્યારેય વાત નહીં કરનાર એક દર્દી બીજા દર્દીઓ અને સ્ટાફ સાથે હળીમળીને સંવાદ સાધવા લાગ્યા

--કેટલાક દર્દીઓ એટલી શાંતિ અનુભવતા હતા કે મ્યુઝિક થેરાપી દરમિયાન જ સુઈ જતા હતા અને તેમને ઉઠાડવા પડતા હતા

ડોકટરો ઓપરેશન  વખતે ઓપરેશન થિયેટરમાં મ્યુઝિક સાંભળે છે

 સારુ સંગીત વાગતું હોય તો એમ પણ મૂડ પર અસર થતી હોય છે.મોડી રાત્રે સુતા પહેલા સંગીત સાંભળનારા ઘણા લોકો છે.હવે તો ડોકટરો મ્યુઝિક થેરાપીનો સારવારની સાથે ઉપયોગ કરતા થયા છે.મારા ધ્યાનમાં ઘણા એવા ડોકટરો છે જે ઓપરેશન થિયેટરમાં ઓપરેશન દરમિયાન સ્ટ્રેસ ઘટાડવા માટે સંગીત સાંભળતા હોય છે.

ડો.રાહુલ બરોડિયા, ગાઈડ અને વરિષ્ઠ અધ્યાપક

રિહેબ સેન્ટરના બીજા થેરાપિસ્ટો અને ડોકટરોએ પણ પ્રભાવિત

મ્યુઝિક થેરાપીથી રિહેબિલિએશન સેન્ટરના દર્દીઓ તો ખરા જ પણ બીજા થેરાપિસ્ટ અને ડોકટરો પણ ઘણા પ્રભાવિત થયા હતા.થેરાપિસ્ટ તો પોતાના માટે પણ સામેથી મ્યુઝિક થેરાપી લેવા માટે આવતા હતા. થેરાપીના પરિણામોથી ઉત્સાહિત થઈને સેન્ટરમાં થેરાપિસ્ટ તરીકે જોડાવા માટે ઓફર મળી છે.ઓનલાઈન મ્યુઝિક થેરાપી માટે પણ વિચારી રહી છું.

સિધ્ધિ મંગલમ, પીએચડી સ્ટુડન્ટ