વડોદરામાં ગણેશ વિસર્જન અને ઇદ નિમિત્તે ચાર દરવાજામાં પેરા મિલિટરી ફોર્સનું ફૂટ પેટ્રોલિંગઃ
વડોદરાઃ વડોદરામાં ગણેશોત્સવ દરમિયાન કાંકરીચાળો કરી ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને શાંતિથી વિસર્જનયાત્રાઓ નીકળે તે માટે ચાર દરવાજા વિસ્તારમાં પેરા મિલિટરી ફોર્સની કંપનીઓ ખડકી દેવામાં આવી છે.
શહેરમાં ભારે ઉત્સાહભેર ગણેશોત્સવની ઉજવણી થઇ રહી છે તે દરમિયાન કાંકરીચાળો કરી અશાંતિ સર્જવાનો પ્રયાસ થતાં ગણેશ મંડળોમાં રોષની લાગણી વ્યાપી હતી.આ ઉપરાંત આગામી સમયમાં હિન્દુ-મુસ્લિમના તહેવારો આવી રહ્યા હોવાથી તેની શાંતિ પૂર્ણ રીતે ઉજવણી થાય તે હેતુથી પોલીસ કમિશનરે અર્ધ લશ્કરી દળોને તૈનાત કર્યા છે.
ચાર દરવાજા અને સંવેદનશીલ વિસ્તારોમાં એસઆરપીની ૯ કંપની,બોર્ડર સિક્યુરિટી ફોર્સ,સીઆરપીએફ અને રેપિડેક્શન ફોર્સની એક એક કંપનીઓ ઉતારવામાં આવી છે.આજે પોલીસ કમિશનર નરસિમ્હા કોમર અને ઉચ્ચ અધિકારીઓએ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી અર્ધ લશ્કરી દળોના અધિકારીઓને ભૌગોલિક સ્થિતિ તેમજ અન્ય માહિતીથી વાકેફ કર્યા હતા.
અર્ધ લશ્કરી દળોને કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટે ખૂલ્લી છૂટ આપવામાં આવી છે.જ્યારે,સ્થાનિક પોલીસને અસામાજિક તત્વોને રાઉન્ડઅપ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
પોલીસનું સાયબર પેટ્રોલિંગ,રાઉન્ડ ધ ક્લોક સોશ્યલ મીડિયા પર નજર રાખશે
આગામી ગણેશ વિસર્જન દરમિયાન ઉશ્કેરણીજનક માહોલ સર્જનારાઓ સામે પગલાં લેવા માટે પોલીસનું સાયબર પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.સાયબર સેલની ટીમો રાઉન્ડ ધ ક્લોક સોશ્યલ મીડિયા પર વાયરલ મેસેજો પર નજર રાખશે.ભૂતકાળમાં આવા મેસેજો વાયરલ કરનારાઓ સામે પગલાં પણ લેવામાં આવ્યા હતા.
શ્રીજી વિસર્જન યાત્રાઓ દરમિયાન આઠ ડ્રોન મારફતે વોચ
શહેરમાં છઠ્ઠા,સાતમા,નવમા તેમજ અગિયારમા દિવસે શ્રીજી વિસર્જન કરવામાં આવતું હોય છે.જેથી આ દરમિયાન કોઇ ઉશ્કેરણીજનક કૃત્ય ના થાય તે માટે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી છે.