વડોદરા,પાણીગેટ દરવાજા પાસે પ્રેમ પ્રકરણના કારણે પ્રેમિકાના પૂર્વ પતિની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરનાર આરોપીના રિમાન્ડ પૂરા થતા તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
પાણીગેટ વિસ્તારમાં રહેતા આરોપી વિશાલ કહાર અને મરનાર મોહંમદહુસેન સૈયદની પૂર્વ પત્ની વચ્ચે છેલ્લા છ વર્ષથી પ્રેમસંબંધ હતો.તેના કારણે બંને વચ્ચે ઝઘડા થતા હતા. મંગળવારની રાત્રે વિશાલે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દઇ મોહંમદહુસેનની કરપીણ હત્યા કરી હતી. પોલીસે તેને ઝડપી પાડી રિમાન્ડ લીધા હતા. આજે રિમાન્ડ પૂરા થયા હતા. દરમિયાન પોલીસે મોહંમદહુસેનની પૂર્વ પત્ની અને વિશાલ કહારની પ્રેમિકાનું નિવેદન લીધું હતું. જેમાં તેણે વિશાલ સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. તેમજ વિશાલ લગ્ન કરવાની ના પાડતો હોઇ બંને વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હોવાની કબૂલાત કરી હતી.


