24 કલાકમાં 3 વિમાનમાં સમસ્યા: બે અધવચ્ચે પરત ફર્યા, એકનું ઈમરજન્સી લેન્ડિંગ
Emergency Landing Of Three Planes Within 24 Hours: અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ હવાઈ મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો છે. એવામાં છેલ્લા 24 કલાકમાં વધુ ત્રણ વિમાનમાં કંઈકને કંઈક ખામી-અડચણ આવતાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું પડ્યું હતું. જેમાં એક વિમાન એર ઇન્ડિયાનું હતું. જ્યારે એક બ્રિટિશ લડાકુ વિમાન અને લુફ્થાંસાની ફ્લાઇટ સામેલ છે. આ સિવાય સાઉદીથી હજયાત્રીઓને લઈને આવી રહેલા વિમાનના લેન્ડિંગ ગિયરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.
લખનઉમાં લેન્ડિંગ સમયે દુર્ઘટના બનતાં ટળી
જેદ્દાહથી આવી રહેલી સાઉદી એરલાઇન્સની ફ્લાઇટમાં મોટી દુર્ઘટના બનતાં ટળી છે. લખનઉના ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર લેન્ડિંગ સમયે આ ફ્લાઇટના પૈડાંમાંથી ધુમાડા અને સ્પાર્ક થયા હતા. જો કે, ગ્રાઉન્ડ સ્ટાફે તાત્કાલિક ધોરણે ઍરપોર્ટ રેસ્ક્યુ ઍન્ડ ફાયર ફાઇટિંગ ટીમને જાણ કરતાં પરિસ્થિતિ પર કાબૂ મેળવાયો હતો. જેથી કોઈ મોટી દુર્ઘટના બની ન હતી. તમામ પેસેન્જર્સને સુરક્ષિત ઉતારી લેવામાં આવ્યા હતા. આ વિમાન હજયાત્રીઓને લઈને પાછું આવી રહ્યું હતું. જેમાં 250 જેટલા મુસાફરો સવાર હતા.
બ્રિટિશ લડાકુ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ
બ્રિટિશ લડાકુ વિમાનનું કેરળમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. જેમાં ઇંધણ ખૂટી પડતાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. બીજી ઘટનામાં લુફ્થાંસાની હૈદરાબાદ આવી રહેલી એક ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી આવતાં પાછું ફ્રેન્કફર્ટ રિટર્ન થયું હતું. ત્રીજી ઘટનામાં એર ઇન્ડિયાની હોંગકોંગથી દિલ્હી આવતી ફ્લાઇટમાં પણ ટેક્નિકલ ખામી સર્જાતાં તેને અધવચ્ચેથી પાછું હોંગકોંગ ઍરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આ પ્રકારની સતત બની રહેલી ઘટનાએ હવાઈ મુસાફરીની સુરક્ષા પર સવાલો ઊભા કર્યા છે.
હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ પાછી ફરી
હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટે હવામાં જ ટેક્નિકલ ખામીનો સામનો કર્યો હતો. પાયલટે જાણ થતાંની સાથે જ સાવચેતી રૂપે બોઇંગ 787 વિમાનને હોંગકોંગથી ઉડાન ભર્યા પછી તરત જ પાછું હોંગકોંગ લૅન્ડ કર્યું હતું. આ વિમાનમાં 200થી વધુ મુસાફરો સવાર હતા. એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ફ્લાઇટ AI-315 જે 16 જૂન 2025ના રોજ હોંગકોંગથી દિલ્હી જઈ રહી હતી તે ટેકનિકલ ખામીને કારણે ટેક ઑફ પછી તરત જ હોંગકોંગ પાછી આવી હતી. વિમાન હોંગકોંગમાં સુરક્ષિત રીતે ઉતર્યું છે અને સાવચેતી રૂપે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે તેમના ડેસ્ટિનેશન દિલ્હી પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.'
અમદાવાદ પ્લેન ક્રેશમાં 278ના મોત
એર ઇન્ડિયાની AI-171 નંબરની ફ્લાઇટ 12 જૂને બપોરે 1.40 વાગ્યે ટેક ઑફ થતાંની સાથે જ ધડકાભેર બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. જેમાં સવાર 241 મુસાફરો સહિત 278 લોકો માર્યા ગયા હતા. જેમાં 114 લોકોના ડીએનએ મેચ થયા છે. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, લુબીના ડિરેક્ટર સુભાષચંદ્ર અમીન, અને કાર્ગો મોટર્સ ગ્રૂપના ફાઉન્ડર પ્રમુખ નંદા તેમના પરિવાર સાથે મૃત્યુ પામ્યા હતા. હજુ ડીએનએ સેમ્પલની ઓળખ થઈ રહી છે. તેમજ કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલુ છે.