સુરત સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા, 754 કિલો જથ્થો નાશ કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Duplicate Paneer : સુરત પાલિકા અને એસ.ઓ.જીના દરોડામાં સુરતની સુરભી ડેરીમાંથી મળેલું 754 કિલો પનીર લેબોરેટરી ટેસ્ટીંગમાં નિષ્ફળ સાબિત થયું છે. લેબોરેટરીમાં લીધેલા નમુના સબ સ્ટાન્ડર્ડ થતાં હવે 754 કિલો પનીરનો જથ્થો નાશ કરાશે. આ બનાવટી પનીર વેજીટેબલ ઓઈલ, સ્ટાર્ચ, એસીટીક એસિડ તથા મહારાષ્ટ્રથી લવાતા 30 રૂપિયા લિટર દૂધમાંથી બનાવવામાં આવતું હતું અને રોજ એક હજાર કિલો જેટલો બનાવટી પનીરનો જથ્થો સુરતમાં વેચાણ માટે મુકાતો હતો.
સુરત એસ.ઓ.જી.ને મળેલી બાતમીના આધારે સુરત પાલિકાના ફૂડ વિભાગ અને પોલીસે સંયુક્ત રેડ કરી કરી સોરઠીયા કમ્પાઉન્ડ, આઈએનએસ હોસ્પિટલની પાછળ, સોમા કાનજીની વાડી, ખટોદરા વાડી ખાતે આવેલી સુરભી ડેરીમાંથી 1.81 લાખની મત્તાની 754.621 કિલો પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પ્રારંભિક તપાસમાં જ માલિકે પનીર બનાવટી હોવાની કબૂલાત કરી દીધી હતી. પાલિકાએ પનીરના નમૂના લઈને તપાસ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા જેની તપાસ બાદ આ નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયાં છે.
પાલિકા તંત્રએ આપેલી માહિતી મુજબ સુરભી ડેરીમાં દરોડા પડાયા ત્યારે માલિક શૈલેષ પટેલ ગેરહાજર હતા અને સેલ્સમેન ઓમ પ્રકાશ પપ્પુ લાલ માહોર સ્થળ પર હતા. તેમની પાસેથી લીધેલા નમુના લેબોરેટરી તપાસમાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. તેના કારણે હવે આ વ્યક્તિ સામે એડજયુડીકેટીંગ ઓફીસર, સુરત સમક્ષ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સુરતના સાયણ ખાતેના યુનિટમાં વેજીટેબલ ઓઈલ, સ્ટાર્ચ, એસીટીક એસિડ તથા મહારાષ્ટ્રથી લવાતા 30 રૂપિયા લિટર દૂધનો ઉપયોગ કરીને પનીર બનાવવામાં આવતું હતું. અને ખટોદરા ખાતેના ગોડાઉનમાં સ્ટોર કરાતું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર એક રોજ એક હજાર કિલો બનાવટી પનીર બનાવી વેચવામાં આવતું હતું. આ બનાવટી પનીરનો ધંધો ક્યારથી ચાલે છે અને કોને સપ્લાય કરવામા આવે છે તે પોલીસ તપાસમાં બહાર આવશે.
આ બનાવટી પનીરના કારણે લાંબા ગાળે આરોગ્યની સમસ્યા થઈ શકે
પબ્લીક હેલ્થ લેબોરેટરી દ્વારા પનીરના પૃથકકરણમાં મિલ્ક ફેટની માત્રા ધારાધોરણ ક૨તા ઘણી ઓછી હતી. આ પનીર દૂધમાંથી બનાવવાના બદલે સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટમાંથી બનેલા હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવટી પનીરના કારણે સ્ટાર્ચ અને બીજા એડીટીવના લીધે સામાન્ય રીતે ગેસ, પાચનશક્તિ તેમજ અન્ય પેટની તકલીફ થઈ શકે છે. આ ઉપરાંત આંતરડાના નેચરલ માઈક્રોબ ખોરવાઈ શકે છે. રોગપ્રતિકાર શક્તિ નબળી બની શકે છે. પાચન સંબંધિત રોગોનું જોખમ વધે છે. શાકાહારી લોકો માટે આ પનીર લેવાથી પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે. જે લાંબા ગાળે પોષણની ઉણપ અને હાડકા અંગેની સમસ્યા ઉભી કરી શકે છે.
મિસ બ્રાન્ડ એટલે શું : ખોટી બ્રાન્ડ અથવા લેબલિંગ ખામીઓ
સબ સ્ટાન્ડર્ડ એટલે શું : ખોરાકના નમુના જે એફએસએસએઆઇ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારા ધોરણ કરતાં ઉતરતી કક્ષાની હોય તેવી વસ્તુ
અન સેઈફ એટલે : પાલિકા જે નમુના લે છે અને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલે છે જ્યાં ખોરાકની અંદર રહેલી વસ્તુ લોકોના આરોગ્ય માટે હાનિકારક થાય છે અને લોકોને નુકસાન થાય છે તેવો ખોરાક









