Gujarat

હોળીની ગોઠ મામલે અક્ષય કુમાર વણઝારા પર જીવલેણ હુમલો, પોલીસે તપાસ આદરી

By GS TEAM
4 Mar 20262 mins read
TukuTouch Logo
ક્ષય કુમાર વણઝારા નામના યુવક તેમના મિત્ર સાથે મોટરસાઇકલ પર સવાર થઈને તાડવા પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગની વચ્ચે ઉભેલા 8 થી 10 અજાણ્યા શખ્સોએ તેમનું બાઇક આંતર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

હોળીની ગોઠ મામલે અક્ષય કુમાર વણઝારા પર જીવલેણ હુમલો, પોલીસે તપાસ આદરી

 AI IMAGE



Godhra News : હોળી અને ધુળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે માર્ગો પર ‘ગોઠ’ ઉઘરાવવાના નામે વાહનચાલકોને હેરાન કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાડવા પાટીયા પાસે હોળીની ગોઠ (બક્ષિસ) ન આપવા જેવી નજીવી બાબતે 8 થી 10 શખ્સોના ટોળાએ બે યુવકો પર લાકડી અને પથ્થર વડે હુમલો કરી તેમના માથા ફોડી નાખ્યા હોવાની સનસનાટીભરી ઘટના બની છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, અક્ષય કુમાર વણઝારા નામના યુવક તેમના મિત્ર સાથે મોટરસાઇકલ પર સવાર થઈને તાડવા પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગની વચ્ચે ઉભેલા 8 થી 10 અજાણ્યા શખ્સોએ તેમનું બાઇક આંતર્યું હતું. ટોળાએ યુવકો પાસે હોળીની ‘ગોઠ’ પેટે નાણાંની માંગણી કરી હતી. બાઇક સવાર યુવકોએ પોતાની પાસે છૂટા પૈસા ન હોવાનું જણાવી આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વાત ટોળાને ગમી નહોતી.

ચાવી છીનવી હુમલો કર્યો

યુવકોએ પૈસા આપવાની ના પાડતા મામલો ગંભીર બન્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ બળજબરીપૂર્વક ચાલુ બાઇકમાંથી ચાવી છીનવી લીધી હતી અને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં ટોળાએ પથ્થર અને લાકડીઓ વડે બંને મિત્રો પર તૂટી પડ્યા હતા. આ હિંસક હુમલામાં બંને યુવકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યા હતા.

 ઘાયલ યુવાનો



હોસ્પિટલમાં સારવાર હેઠળ

ઘટના બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત અક્ષય કુમાર વણઝારા અને તેના મિત્રને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, માથામાં ગંભીર ઈજા હોવાને કારણે યુવકોની હાલત નાજુક છે અને તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસ કાર્યવાહીની માગ

આ ઘટનાને પગલે પંથકમાં ભયનો માહોલ છે. તહેવારના સમયે માર્ગો પર બળજબરીપૂર્વક પૈસા ઉઘરાવતી ટોળકીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.