Gujarat

પંચમહાલ: શહેરામાં મિનિ વાવાઝોડાએ મચાવી તબાહી, દીવાલ ધરાશાયી થતા દાદી-પૌત્રના કરુણ મોત

By GS TEAM
7 Apr 20262 mins read
TukuTouch Logo
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ભર ઉનાળે કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે મંગળવારે અચાનક ભારે પવન અને વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. આ વાવાઝોડાએ શહેરાના છોગાળા ગામમાં એક હસતા-રમતા પરિવાર પર કાળ બનીને ત્રાટક્યું છે, જેમાં બે માસૂમ જીંદગીઓ હોમાઈ ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલ: શહેરામાં મિનિ વાવાઝોડાએ મચાવી તબાહી, દીવાલ ધરાશાયી થતા દાદી-પૌત્રના કરુણ મોત

Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ભર ઉનાળે કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે મંગળવારે અચાનક ભારે પવન અને વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. આ વાવાઝોડાએ શહેરાના છોગાળા ગામમાં એક હસતા-રમતા પરિવાર પર કાળ બનીને ત્રાટક્યું છે, જેમાં બે માસૂમ જીંદગીઓ હોમાઈ ગઈ છે.

મકાનની દીવાલ ધરાશાયી થતાં દાદી-પૌત્રનું કરુંણ મોત

કટાણે આવેલા વાવાઝોડાની તીવ્રતા એટલી ભયાનક હતી કે છોગાળા ગામના કલારિયા ફળીયામાં એક કાચા મકાનના પતરા હવામાં ઉડી ગયા હતા અને મકાનની દીવાલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટના સમયે ઘરમાં હાજર 42 વર્ષીય દાદી અને તેમનો 7 વર્ષનો પૌત્ર દીવાલ નીચે દબાઈ ગયા હતા. આ અચાનક બનેલી ઘટનાથી સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

પંથકમાં અને સમાજમાં શોકની લાગણી

ભારે જહેમત બાદ કાટમાળ નીચેથી દાદી અને પૌત્રને બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, 7 વર્ષીય ધાર્મિક કુમારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેના દાદીને તાત્કાલિક 108 મારફતે શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચતા પૂર્વે જ તેમણે પણ દમ તોડી દીધો હતો. એક જ પરિવારના બે સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં અને સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.


આર્થિક સહાયની માંગ

હાલ બંને મૃતદેહોને પીએમ માટે શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર આ ગરીબ પરિવારની વ્હારે આવે અને તેમને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડે.

કયા જિલ્લાઓમાં 'યલો ઍલર્ટ'?

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન એમ કુલ 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જેના ભાગરૂપે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં સાવચેતીના ભાગરૂપે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં મુખ્યત્વે  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરુચ અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં વરસાદી ઝાપટાની શક્યતા છે.

30થી 40 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન

આ કમોસમી વરસાદ માત્ર સામાન્ય છાંટા નહીં હોય, પરંતુ તોફાની પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ખાબકશે. પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. આ ખરાબ હવામાનને જોતાં માછીમારોને આજે અને આવતીકાલે દરિયો ન ખેડવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.