Gujarat

પાન-મસાલાના વેપારી ઉપર ચશ્માના વેપારીઓ દ્વારા હુમલો

By GS TEAM
11 Mar 20261 min read
પાન-મસાલાના વેપારી ઉપર ચશ્માના વેપારીઓ દ્વારા હુમલો

કરણસિંહજી મેઇન રોડ પરની ઘટના

દુકાનના ઓટા ઉપર કચરો રાખવા બાબતે માથાકૂટ, એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ: કરણસિંહજી મેઇન રોડ પર સી.પી. પાન-મસાલા નામની દુકાન ધરાવતા ચેતનભાઇ પ્રવીણભાઇ કેસરીયા (ઉ.વ.૫૫, રહે.શિવનગર શેરી નં.૯, ગોંડલ રોડ) ઉપર બાજુમાં દીપક ઓપ્ટીકલ નામની દુકાન ધરાવતાં ઘનશ્યામભાઇ રાવલ અને તેના ભાઇ સહિત ત્રણે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે. 

જેમાં ચેતનભાઇએ જણાવ્યું છે કે, ગઇ તા.૮નાં રોજ બપોરે દુકાન બંધ કરી પરાબજારમાંથી માલ લઇ પરત દુકાને આવ્યા ત્યારે બાજુમાં દુકાન ધરાવતા ઘનશ્યામભાઇએ તેનો સામાન અને એસીનો કચરો તેની દુકાનનાં ઓટલા ઉપર રાખ્યો હતો. જેથી ટપારતા સ્પષ્ટ કહ્યું કે તમામ સામાન ત્યાં જ રહેશે.

 ત્યાર પછી તેના સગા ભાઇ અમિત અને માસીના દિકરા બકુલને દુકાનમાંથી બોલાવતા ત્રણેયે ભેગા મળી તેને ગાળો ભાંડી લાકડી વડે હુમલો કરી, ગડદાપાટુનો માર માર્યો હતો. સાથોસાથ ઘનશ્યામભાઇએ આજે તો તને પતાવી જ દેવો છે તેમ કહ્યું હતું. તેણે બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. તે સાથે જ ત્રણેય આરોપીઓ સામેની શેરીમાં જતા રહ્યા હતા. 

સિવિલમાં જઇ સારવાર લીધા બાદ ગઇકાલે એ.ડિવિઝન પોલીસ મથકમાં જઇ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.