જામનગરનો ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયાના સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં : પાન-મસાલાની પીચકારી અને ગુટકાના પેકેટો જોવા મળ્યા

Jamnagar Corporation : જામનગર શહેરનો નવો ફલાયઓવર બ્રિજ કે જેનું 24 તારીખે મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન થયું, ત્યારબાદ સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં રહ્યો છે, અને મહાનગરપાલિકાના તંત્રએ જામનગરના પાન મસાલાના બંધાણીઓ તેમજ ગુટખા પ્રેમીઓ વગેરે પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. હજુ 72 કલાક પણ ન થયા ત્યાં પાન-મસાલાની પીચકારી, ગુટખાના કાગળો જોવા મળ્યા હતા. આમને આમ રહેશે તો ટેક્સ વધારવાની પણ ફરજ પડશે, જેથી લોકોએ આપમેળે સમજીને બ્રિજની જાળવણી કરવા માટે મ્યુનિ. કમિશનરે એક વાતચિતમાં જણાવ્યું છે.
જામનગરમાં સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો અને રૂા.226 કરોડના ખર્ચે બનેલો ફલાય ઓવર બ્રિજ લોકોની શાનસમો બની ગયો છે, છેલ્લા 15 દિવસમાં રોશનીવાળા ફલાય ઓવરની રીલ સોશીયલ મીડીયામાં ફરતી થઈ છે, પરંતુ સીએમના હસ્તે ઉદઘાટન થયા બાદ 24 થી 48 કલાકમાં જ બ્રિજની પારાપેટ અને અન્ય સ્થળોએ પાનની પીચકારી મારીને આ બ્રિજને બગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે યોગ્ય નથી. આ બ્રિજ નગરજનો માટે ઘરેણાસમાન છે, ત્યારે લોકોને પણ પાન-મસાલાની પીચકારી ન મારવા તેમજ ગંદકી ન કરવા મ્યુ. કમિશ્નર ડી.એન.મોદીએ અપીલ કરી છે.
વધુમાં કમિશનરે જણાવ્યું હતું કે, બ્રિજનું ઉદઘાટન થયા બાદ થોડા કલાકોમાં જ ફલાય ઓવરની મુલાકાત લીધી હતી, ત્યારે હું પણ ચોકી ગયો હતો, બ્રિજની પારાપેટ પર ઠેર-ઠેર પાનની પીચકારી જોવા મળી હતી, જે ખૂબ જ શરમજનક છે, એટલું જ નહીં કેટલાક સ્થળોએ ગુટકાના કાગળો પણ નાખેલાં જોવા મળ્યા હતો. આ તકે હું જામનગરવાસીઓને વિનંતી કરૂ છું કે, ખાસ કરીને આ બ્રિજને ચોખ્ખી રાખો અને પીચકારી નહી મારવા અપીલ કરી હતી. આવું ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું રહેશે તો તમારે ટેકસ વધુ ચૂકવવા પડશે, તમારા જ રૂપિયાનો આ બ્રિજ છે, ત્યારે બ્રિજ પર રોંગસાઇડમાં મુસાફરી નું કરવા પણ મારી જામનગરવાસીઓને ખાસ અપીલ છે. એટલું જ નહી આ ફલાય આવર પર વાહન પણ ધીમેંથી ચલાવવા અને અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખવા હું બધાને વિનંતી કરું છું. કેટલાક રીલ બાજો સાત રસ્તા સર્કલમાં પોતાના વાહનો બ્રિઝ ઉપર રાખી દઈ રીલ બનાવવા બેસી જાય છે, તો કેટલાક લોકો નવા બ્રિઝની પાળી પર કેક કટીંગ કરીને જન્મદિવસ ઉજવે છે. અથવા તો નવી નવી રીલો બનાવે છે. જેના કારણે પણ અકસ્માત થવાની સંભાવના છે. તે અંગે પણ લોકોએ સ્વયંભૂ તકેદારી રાખવી જોઈએ.

