Gujarat
મત નહી આપ્યાની દાઝે પાલિતાણા યુવકને માર્યો
By GS TEAM
1 May 20261 min read

નગરપાલિકાની ચૂંટણીમાં
પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ભાવનગર - પાલિતાણાની નગરપાલિકાની ચૂંટણીમાં મત નહી આપ્યાની દાઝે યુવકને માર મારી ઈજા પહોંચાડયા અંગેની પોલીસ ફરિયાદ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ છે.
પાલિતાણા ખાતે રહેતા બકુલભાઈ વીનુભાઈ મારુએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં પ્રવિણ ઉકાભાઈ મારુ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત રોજ તેઓ ચાલીને ઘરે જઈ રહ્યાં હતા ત્યારે હૈદરશા પીરની દરગાહ પાસે ઉક્ત પ્રવિણભાઈએ પાછળથી આવી તેમને અપશબ્દો કહી 'તે મને મત ન આપ્યો એટલે હું હારી ગયો છું' તેમ કહી ઢીકાપાટુંનો માર માર્યા બાદ તેના હાથમાં રહેલા લોખંડના પાઈપ વડે માર મારી તેમને ઈજા પહોંચાડી હતી. જ્યાં અન્ય માણસો ભેગા થઈ જતાં તેમને વધુ માર મારવાથી બચાવ્યા હતા. બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








