Gujarat

વડોદરા-ડભોઇ વચ્ચેની પલાસવાડા રેલવે ફાટક લોકોની પરેશાની અને તકલીફોનું કારણ બની

By GS TEAM
17 Nov 20252 mins read
TukuTouch Logo
ઓવરબ્રિજની કામગીરીમાં વિલંબથી દરરોજ અસંખ્ય લોકોને હાલાકી

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા-ડભોઇ વચ્ચેની   પલાસવાડા રેલવે ફાટક લોકોની પરેશાની અને તકલીફોનું કારણ બની

Vadoadra : વડોદરા નજીક પલાસવાડા રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજના કામમાં વિલંબ થતા વડોદરા-ડભોઇ માર્ગ પર લોકો ભારે પરેશાની અનુભવી રહ્યા છે. રેલ્વે વિભાગ તરફથી બ્રિજ નિર્માણ માટે ડાયવર્ઝનનું કામ પૂરું કરવામાં આવ્યું છે. જ્યારે આર.એન્ડ.બી. વિભાગ આર.એમ.સી. પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન પતે એટલે કામગીરી શરૂ કરશે તેવું જાણવા મળ્યું છે. 

તીર્થક્ષેત્ર ચાણોદ, કરનાળી, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા ધાર્મિક અને પર્યટન સ્થળો તરફ લોકોની અવરજવર રહેતી હોવાથી આ માર્ગ સતત વ્યસ્ત રહે છે. વડોદરા નજીકના શહેર જીલ્લામાંથી આવતા પ્રવાસીઓ પણ આ જ માર્ગનો ઉપયોગ કરતાં હોવાથી ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. વડોદરા-ડભોઇ માર્ગ પર એક લાખ કરતાં વધુ ટી.વી.યુ. એટલે કે ટ્રેઈન વ્હીકલ યુનિટ ધરાવતા સરિતા અને પલાસ વાળા બે રેલવે ફાટક છે. 6 વર્ષ અગાઉ અંદાજે રૂ.50-50 કરોડના ખર્ચે બંને ઓવરબ્રિજ બનાવવા માટેની સિદ્ધાંતિક મંજૂરી મળી હતી. જેમાં સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ બની ગયો છે. જ્યારે પલાસવાડા ક્રોસિંગ ખાતે મુખ્ય રોડની વચ્ચેથી રેલ્વે લાઇન પસાર થાય છે. રસ્તો 4 લેન અને ફાટક 2 લેન હોવાથી ફાટક બંધ થાય ત્યારે બંને દિશામાં વાહનોની લાંબી કતારો સર્જાય છે. પરિણામે વાહનચાલકોનો કીમતી સમય અને ઇંધણનો વ્યય થાય છે. ખાસ કરીને જાહેર પરિવહન વાહનો, ઇમરજન્સી સર્વિસ, નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે આ દૈનિક મુશ્કેલી બની ગઈ છે. તહેવારો અને રજાઓમાં સમસ્યા વધુ વિકટ બને છે. જેથી પલાસવાડા રેલવે ક્રોસિંગ નં. 20 પર ઓવરબ્રિજનું નિર્માણ અતિ જરૂરી બન્યું છે. ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ થાય તેવી લોકોની માગ છે. 

ટ્રેનોની ગતિ ધીમી થતી હોવાથી રેલ્વે વિભાગને પણ મુશ્કેલી 

વિશ્વામિત્રી-ડભોઇ સેક્શન વચ્ચે પ્રતાપનગર-ડભોઇ રૂટ પર આવેલ આ લેવલ ક્રોસિંગ પર અનેક ટ્રેનોની ગતિ ધીમી થતી હોવાથી રેલ્વેને પણ મુશ્કેલી પડી રહી છે. ઓવરબ્રિજ તૈયાર થઈ જાય તો ટ્રાફિક સમસ્યા દૂર થવા ઉપરાંત અકસ્માતના બનાવોમાં ઘટાડો થશે અને ટ્રેનોની સ્પીડ વધવાથી સુવિધા વધે તેમ છે.

 રેલવે વિભાગે ડાયવર્ઝન બનાવ્યું, ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે : આરએન્ડબી વિભાગ

આરએન્ડબી વિભાગના અધિકારીનું કહેવું છે કે, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા એજન્સીએ કામગીરી શરૂ કરી દીધી છે. રેલવે વિભાગે ડાયવર્ઝન તૈયાર કરી દીધું છે. આર.એમ.સી. પ્લાન્ટનું કામ પૂર્ણ થાય એટલે ડાયવર્ઝન લંબાવી એક તરફથી ટ્રાફિક રિલીઝ કરી ડાયવર્ઝન શરૂ કરાશે. વીઆઈપી મૂવમેન્ટ હોવાથી કામગીરી રોકી હતી.