સુરતની 300 થી ઔદ્યોગિક મંડળીનો વહીવટ રજિસ્ટ્રાર કચેરી મારફત થશે

- અત્યારસુધી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વહીવટ થતો હતોઃ કાનૂની-વહીવટી પ્રશ્નો, આરટીઆઇ અંગે રજિસ્ટ્રાર કચેરી કામગીરી કરશે
સુરત
સુરત શહેર અને જિલ્લામાં આવેલી અંદાજે ૩૦૦ થી વધુ ઓદ્યોગિક સહકારી મંડળીઓનો કારભાર અત્યાર સુધી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચાલતો હતો. હવે આ મંડળીઓની સમગ્ર કામગીરી સુરત જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા થશે.
રાજય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગે એક ઠરાવ કરીને કુટીર ઉદ્યોગ હસ્તક ચાલતી ઓદ્યોગિક સહકારી મંડળીઓના મોનીટરીંગની કામગીરી જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીને સોંપવાનો નિર્ણય લીધો હતો. અને આ અંગે પરિપત્ર જાહેર કરતા સુરત જિલ્લા રજિસ્ટ્રાર હરેશ કાછડે એક પરિપત્ર જારી કર્યો છે કે સુરત જિલ્લાની ઓદ્યોગિક સહકારી મંડળીઓની કામગીરી હવે રજિસ્ટ્રાર કચેરી સંભાળશે. આથી મંડળીઓના કાનુની પ્રશ્નો જેવા કે મંડળીઓની નોંધણી, પેટા કાયદામાં સુધારો, વહીવટી બાબતો, ફડચાની કામગીરી, સભાસદ અને મંડળીઓ વચ્ચેના વહીવટી પ્રશ્નો તથા આર.ટી.આઇ બાબતે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનો સંર્પક કરવાનો રહેશે.








