સાંકરદા-ભાદરવારોડ પર આવેલ રાણીયા ગામની સીમમાં ખેતરમાં ઝેરી કેમિકલ રાત્રે ઠલવાતા રોષ

સાવલી તા.૨૪ વડોદરા જિલ્લાના સાંકરદા-ભાદરવારોડ પરના એક ખેતરમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સો ઝેરી કેમિકલ ઠાલવી જતા તીવ્ર દુર્ગધના કારણે સમગ્ર વિસ્તારમાં લોકોમાં રોષ ફેલાયો છે.
સાંકરદા-ભાદરવા રોડ પર આવેલા રાણીયા ગામની સીમ વિસ્તારના એક ખેતરમાં રાત્રે અજાણ્યા વાહનમાં આવેલા કેટલાક શખ્સો દ્વારા કાળા રંગનું ઝેરી કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી.
કેમિકલ માફિયાઓ દ્વારા આચરવામાં આવેલી આ ગેરકાયદે પ્રવૃત્તિના કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે. આ પ્રકારની વારંવાર બનતી ઘટનાઓ છતાં શંકાસ્પદ અને આરોગ્ય માટે જોખમી કેમિકલ અવાવરુ જગ્યાએ ઠાલવવાની પ્રવૃત્તિ અટકતી નથી, જેના કારણે જીપીસીબી તેમજ સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઊઠી રહ્યા છે. કેમિકલનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણે ઠાલવ્યો તેની યોગ્ય તપાસની માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે.








