Get The App

ગિરનાર રોડ પર ગટરનું પાણી મંદિરમાં ઘૂસી જતાં આક્રોશ

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
ગિરનાર રોડ પર ગટરનું પાણી મંદિરમાં ઘૂસી જતાં આક્રોશ 1 - image

જૂની ગટર કાઢી નવી નાખી તેમાં મોટો ભ્રષ્ટાચાર નવી ગટર બનાવી ત્યારથી જ સમસ્યા : અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં રસ્તા અને મંદિરનાં પ્રવેશદ્વારે ગંદા પાણીની રેલમછેલ

જૂનાગઢ, : જૂનાગઢમાં જૂની ગટર કાઢી નવી પાઈપલાઈન નાખી છે ત્યારથી ગટર ઉભરાવાની સમસ્યા થઈ રહી છે. શહેરના ગિરનાર રોડ પર અવારનવાર ગટરનું ગંદુ પાણી ઉભરાઈ મંદિરમાં ઘુસી જાય છે. અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા મંદિરના મહંત તેમજ ભાવિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢમાં જૂની ગટર હતી તેમાં મોટી પાઈપલાઈન હતી ચોમાસામાં ભારે વરસાદ વખતે પણ આ ગટરમાં થઈને પાણી વહી જતું હતું. મનપા દ્વારા જૂની મોટી ગટર લાઈનને કાઢી ગટરમાં પ્લાસ્ટીકના નાના પાઇપ નાંખ્યા છે. શહેરના ગિરનાર રોડ પર શ્રીનાથજીના દલીચા પાસે અવારનવાર ગટર ઉભરાય છે અને ગંદા પાણીની રોડ ઉપરાંત દલીચામાં રેલમછેલ થાય છે. દર્શન કરવા આવતા ભાવિકોએ ફરજિયાત ગંદા પાણીમાં પસાર થવું પડે છે. છેલ્લા ત્રણ દિવસથી આ હાલત છે. ઉભરાતી ગટરના ગંદા પાણીના કારણે ભાવિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. શ્રીનાથજીના દલીચાના મહંતે જણાવ્યું હતું કે જૂની ગટર હતી ત્યારે ક્યારેય આવી સમસ્યા થતી ન હતી. નવી પાઇપલાઇન નાખી ત્યારથી અવારનવાર ગટર ઉભરાય છે અને ગામની ગંદકી મારા મંદિરમાં આવે છે. મનપાનો આ ભ્રષ્ટાચાર છે. ત્રણ દિવસથી આ સમસ્યા છે અનેક રજૂઆત કરવા છતાં થઈ જશે એમ કહેવામાં આવે છે પરંતુ કઈ નિરાકરણ થતું નથી.