લોકસભા ચૂંટણી ખર્ચની માહિતી અરજદારને આપવા રાજ્ય માહિતી કમિશનરનો હુકમ
ઓફિસરના પ્રમાણપત્રોની નકલો સાથેના બિલો તથા કેટલું ચુકવણું કર્યાની માહિતી 30 દિવસમાં આપવા આદેશ
લોકસભા 2024ની ચૂંટણીમાં વડોદરા શહેર - જિલ્લાની 10 વિધાનસભા ક્ષેત્રમાં થયેલ ફરાસખાનાલક્ષી કામગીરીના બિલોના ચૂકવણા બાબતે જાહેર માહિતી અધિકાર અધિનિયમ મુજબ માંગેલ માહિતી આપવા અખાડા કરતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટરને હુકમથી 30 દિવસમાં અરજદારને માહિતી પૂરી પાડવા રાજ્ય માહિતી કમિશનરએ હુકમ કર્યો હતો.
લોકસભા 2024ની ચૂંટણી માટે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ટેન્ડર જારી કરતા તેમાં અરજદાર નિઝામુદ્દીન હિસામુદ્દીન શેખ (રહે - તાંદલજા )પણ ભાગ લીધો હતો. અને અનન્યા એજન્સી સુરતને ઇજારો આપ્યો હોય અરજદારે વાંધો ઉઠાવી પુરાવા રજૂ કર્યા હતા. જેમાં આ ટેન્ડર પ્રક્રિયામાં અનન્યા એજન્સીએ નિયમ વિરુદ્ધ થર્ડ પાર્ટી એફિડેવિટ રજૂ કરી તેમાં વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં કોન્ટ્રાક્ટ મેળવવા બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરવા મામલે બોટાદ કલેકટરે અનન્યા એજન્સીને 5 વર્ષ માટે બ્લેક લિસ્ટ કરી હોવાની બાબત ન દર્શાવી અધિકારીઓ સાથે મિલીભગત કરી કોન્ટ્રાક્ટ મેળવ્યો હોવાનું જણાવી વર્ક ઓર્ડર, રજૂ કરેલ બિલો સહિતના મુદ્દે માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માંગી હતી. જાહેર માહિતી અધિકારી તરફથી અનન્યા એજન્સી, સુરતની સ્પર્ધાત્મક સ્થિતિને નુકસાન થઈ શકે તેવું જણાવી માહિતી આપવાનો ઇન્કાર કરતા અરજદારે વર્ષ 2024માં પ્રથમ અપીલ દાખલ કરી હતી. જેમાં અરજદારને અનન્યા એજન્સીની સંમતિ લઈ 90 દિવસમાં માહિતી આપવા માટે હુકમ કર્યો હતો.જેના અનુસંધાને જાહેર માહિતી અધિકારીએ અનન્યા એજન્સી દ્વારા કેટલાક મુદ્દાની માહિતી આપવા માટે સંમતિ અને કેટલાક મુદ્દાની માહિતી આપવા માટે અસંમતિ દર્શાવી હતી. બીજી અપીલમાં અનન્યા એજન્સીએ રજૂ કરેલ બિલ પૈકી કેટલી રકમ અત્યાર સુધી ચૂકવવામાં આવી ,વર્ક ઓર્ડરની શરત મુજબ નાયબ કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પ્રિસાઇડિંગ ઓફિસરના પ્રમાણપત્રની નકલો સાથેના બિલોની વિગતો હુકમથી 30 દિવસમાં અરજદારને આપવા રાજ્ય માહિતી કમિશનર નિખિલ ભટ્ટએ હુકમ કર્યો હતો.
સરકારી નાણાનો ઉપયોગ કોઈપણ કામગીરી માટે થાય હોય તો તેની માહિતી આપવી જોઈએ : રાજ્ય માહિતી આયોગ
ચૂંટણીલક્ષી કામગીરીમાં વપરાતી ગ્રાન્ટ તે પ્રજાના ટેક્સના ઉઘરાવેલા નાણા માંથી ફાળવવામાં આવેલ સરકારી નાણા છે. સરકારી નાણાનો ઉપયોગ કોઈપણ કામગીરી માટે કરવામાં આવતો હોય તો, તેની માહિતી, માહિતી અધિકાર અધિનિયમની જોગવાઈ મુજબ આપવી જ જોઈએ. અને તો જ ભ્રષ્ટાચાર વિહીન અને પારદર્શક વહીવટની વિભાવના ઉપર માહિતી અધિકાર અધિનિયમની રચના થઈ છે તે સાર્થક થશે તેમ રાજ્ય માહિતી આયોગનું માનવું હતું.