- આણંદ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાર્યવાહી
- તપાસમાં દુકાન બંધ હાલતમાં મળવી, અનાજ વિતરણની પાક્કી કૂપન નહીં આપવી સહિતની ક્ષતિઓ સામે આવી
આણંદ : આણંદ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા ખંભાત ગોપાલક વિવિધ કાર્યકારી સહકારી મંડળી સંચાલીત પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (વાજબી ભાવની દુકાન)નો
પરવાનો ગંભીર ક્ષતિઓ બદલ ૯૦ દિવસ માટે મોકૂફ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે.
મદદનીશ નિયામકની અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગર દ્વારા આણંદ જિલ્લાના ખંભાત શહેર ખાતે આવેલી વાજબી ભાવની દુકાન ખંભાત ગોપાલક વિવિધ કાર્યકારી સહકારી મંડળીની ૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ તપાસ કરવામાં આવી હતી. જેમાં દુકાનની અંદરના ભાગે દુકાનના નામ સરનામાવાળું ઉઘડતા જથ્થા, ભાવનું બોર્ડ રાખવામાં આવ્યું છે, પરંતુ વિગતો ધ્યતન નથી. તકેદારી સમિતિની છેલ્લી માસિક કાર્યવાહી નોંધી રજૂ કરેલી ન હતી. દુકાનમાં વિઝિટ બુક હાજર ન હતી. તે સહિતની ક્ષતિઓ સામે આવી હતી.
આ મામલે પરવાનેદારને ખુલાસો કરવા માટે ૨૮-૦૭-૨૦૨૫ના રોજ સુનાવણીમાં હાજર રહેવા માટે જણાવતા પરવાનેદારે હાજર રહી લેખિત ખુલાસો રજૂ કર્યો હતો. તેમજ તા. ૧૪-૧૧-૨૦૨૫ના રોજ નાયમ મામલતદાર (પુરવઠા કચેરી) ખંભાત દ્વારા તપાસ કરવામાં આવતા, તપાસણી સમયે દુકાન બંધ હાલતમાં હતી, રેશનકાર્ડ ધારકોના નિવેદન અને અન્ય રેશનકાર્ડ ધારકોને પૂછતા અનાજ વિતરણની પાક્કી કુપન આપવામાં આવતી નથી. ફક્ત અંગુઠા પડાવી અનાજ આપવામાં આવે છે. તેમજ દુકાનદારે નિભાવવાનું સ્ટોકપત્રક, તાલમાપનું પ્રમાણપત્ર, વેચાણ રજિસ્ટર નિભાવ્યુ ન હતું. તેમજ વિતરણ અંગે પણ કોઈ રેકર્ડ નિભાવ્યું ન હતું. તે સહિતની ઘણી ક્ષતિઓ સામે આવી હતી. જે મામલે જિલ્લા પુરવઠા અધિકારી, આણંદ દ્વારા ખંભાતની ખંભાત ગોપાલક વિવિધ કાર્યકારી સહકારી મંડળી સંચાલીત પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (વાજબી ભાવની દુકાન)નો પરવાનો ૯૦ દિવસ અથવા કારણદર્શક નોટિસ આપી રૂબરૂ સુનાવણીની કાર્યવાહી હાથ ધરી આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી મોકૂફ રાખવાનો હુકમ કર્યો છે.


