વડોદરાના વાઘોડિયા રોડ પ્રભુ નગર પાસેના ખુલ્લા પ્લોટમાં અસામાજિક પ્રવૃત્તિનો અડ્ડો બની
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના વાઘોડિયા રોડ પ્રભુનગર વિસ્તારમાં પાલિકાના ખુલ્લા પડેલા મેદાનમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ સામે પ્રભુનગર સહિત આસપાસની આઠ સોસાયટી દ્વારા વર્ષોની રજૂઆત બાદ પાલિકા તંત્રએ કહેવાતા વિકાસના ઇરાદે અણગઢ રીતે કાર્યવાહી શરૂ કરી હોવાના આક્ષેપ સ્થાનિક સોસાયટીઓના રહીશોએ કર્યો છે. વિકાસના કાર્યો યોગ્ય આયોજન બાદ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.
ઉલ્લેખનીય છે કે વાઘોડિયા રોડ પ્રભુનગર આસપાસની 8 જેટલી સોસાયટીઓ નજીક વર્ષોથી ખુલ્લુ મેદાન પડી રહ્યું છે. આ ખુલ્લા મેદાનમાં ચારે બાજુએ કોઈ કમ્પાઉન્ડ બનાવી નથી જેથી અસામાજિક તત્વોને ખુલ્લુ મેદાન મળી ગયું છે. અસામાજિક પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં માઝા મૂકી છે. આ મેદાનનો યોગ્ય વિકાસ થાય એ અંગે સ્થાનિક રહીશોની માંગ હતી. 2019થી પડી રહેલા પ્લોટમાં સ્થાનિક સિનિયર સિટીઝનો માટે જોગિંગ અને વિકાસની અન્ય પ્રવૃત્તિઓ બાબતે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો વર્ષો સુધી કરી હતી. અંતે પાલિકા તંત્ર એ માત્ર એક સાઈડ પર કમ્પાઉન્ડ વોલ બનાવી છે જ્યારે અન્ય તમામ બાજુ ખુલ્લી છે. તંત્ર દ્વારા બનાવાયેલો જોગિંગ ટ્રેક માત્ર સાડા ત્રણ ફૂટનો બનાવ્યો છે પરંતુ સામસામે વ્યક્તિને ચાલવા માટે તંત્ર દ્વારા 6 થી સાડા છ ફૂટના જોગિંગ ટ્રેકની માંગ કરી છે. આ ઉપરાંત મેદાનને સમથળ પણ બનાવાયું નથી. જોગિંગ ટ્રેક વચ્ચે વૃક્ષોથી વિક્ષેપ સર્જાય છે. આ ઉપરાંત મેદાનમાં કોઈ લાઇટિંગની પણ વ્યવસ્થા હજી સુધી કરાવી નથી. આમ પાલિકા તંત્રની અણગઢ વહીવટનો આ પ્રત્યક્ષ પુરાવો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. આ મેદાનમાં શરૂ થનારા જોગિંગ ટ્રેકનો લાભ આસપાસની આઠ સોસાયટીના હજારો રહીશો લેશે ત્યારે યોગ્ય વ્યવસ્થા અને વ્યવસ્થિત આયોજન બદ્ધ કામગીરી કરવા સ્થાનિકોની માંગ છે.








