Gujarat

વડોદરામાં પડતા વરસાદનું માત્ર 19 ટકા પાણી જમીનમાં ઉતરે છે

By GS TEAM
8 May 20263 mins read
વડોદરામાં પડતા વરસાદનું માત્ર 19 ટકા પાણી જમીનમાં ઉતરે છે

વડોદરાઃ વડોદરાના વધતા જતા શહેરીકરણના પગલે  શહેરની હરિયાળીની સાથે સાથે પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા પણ ઘટી છે તેમ એમ.એસ.યુનિવર્સિટીના સંશોધકોના એક અભ્યાસમાં સામે આવ્યું છે.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી સાથે સંલગ્ન વોટર રિસોર્સ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ ઈન્સ્ટિટયુટના પૂર્વ ડિરેકટર ડો.ટી એમ વી સૂર્યનારાયણના માર્ગદર્શન હેઠળ ડો.સુમિત્રા સોનાલિયાએ  શહેરીકરણના કારણે વેડફાઈ જતા પાણીના વિષય પર પીએચડી કર્યું છે અને તેના ભાગરુપે તેમણે સેટેલાઈટ ઈમેજિસનો ઉપયોગ કરીને ૧૯૭૭ થી લઈને ૨૦૧૮ સુધી એમ ૪૦ વર્ષના સમયગાળમાં વડોદરાના વિસ્તરણ અને  શહેરીકરણની સરખામણી કરી છે.

સંશોધકોનું કહેવું છે કે, ૧૯૭૭માં વડોદરા ૮૮ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું હતું અને તેમાં ૧૩ ટકા જમીન પર જ બાંધકામ થયેલા હતા.જેના કારણે પાણીને જમીનમાં ઉતરવા માટે ખાસી જગ્યા હતી.અમારા અભ્યાસ પ્રમાણે તે સમયે વરસાદનું ૩૬ ટકા પાણી જમીનમાં ઉતરતું હતું અને હવે જ્યારે શહેરીકરણ પૂરજોશમાં છે ત્યારે વરસાદના પાણીને જમીનમાં ઉતરવા માટે ઓછી જગ્યા બચી છે.૨૦૧૮ના અંદાજ પ્રમાણે વડોદરામાં જે પણ વરસાદ પડે છે તે પૈકી ૮૧ ટકા પાણી વહી જાય છે અને માત્ર ૧૯ ટકા પાણી જમીનમાં ઉતરે છે.વધતા જતા શહેરીકરણની આ પણ એક આડઅસર છે કે, કુદરતી ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગનું પ્રમાણ ઘટી રહ્યું છે અને તેના કારણે હવે તંત્ર અને લોકો જમીનમાં પાણી ઉતારવા માટે વધારે પ્રયાસો કરે છે તે જરુરી છે.

શહેરનું વિસ્તરણ અને બાંધકામ( સ્ક્વેર કિમી)

વર્ષ વિસ્તાર બાંધકામ ટકા

૧૯૭૭ ૮૮ ૧૧ ૧૩

૧૯૮૮ ૧૦૮ ૨૪ ૨૨

૧૯૯૮ ૧૫૦ ૪૮ ૩૨

૨૦૦૮ ૧૬૮ ૮૦ ૪૭

૨૦૧૮ ૨૧૫ ૧૨૨ ૫૭

શહેરીકરણની વિવિધ અસર

--૧૯૭૭માં જળાશયોનો વિસ્તાર ૧.૪૪ ચોરસ કિલોમીટર હતો.જે ૨૦૧૮માં ઘટીને ૧.૩૨ ચોરસ કિલોમીટર થયો.

--બાંધકામનો વિસ્તાર ૧૯૭૭માં ૧૧ ચોરસ કિલોમીટર હતો તે ૨૦૧૮માં વધીને ૧૨૨ ચોરસ કિલોમીટર થયો

--શહેરનું ગ્રીનકવર ૧૯૭૭માં ૪૦ ચોરસ કિલોમીટર હતું જે ૨૦૧૮માં ઘટીને ૩૨ ચોરસ કિલોમીટર થયું

લેન્ડ કન્ઝમશન રેશિયો

વર્ષ ટકાવારી

૧૯૭૭ ૨૪.૫૪

૧૯૮૮ ૩૨ 

૧૯૯૮ ૪૨

૨૦૦૮ ૫૩

૨૦૧૮ ૬૬

શહેરના વિસ્તરણની ઝડપ

૧૯૭૭ થી ૧૯૮૮ વચ્ચે ૨૮ ટકા

૧૯૮૮ થી ૧૯૯૮ વચ્ચે ૩૮ ટકા

૧૯૯૮ થી ૨૦૦૮ વચ્ચે ૪૨ ટકા

૨૦૦૮ થી ૨૦૧૮ વચ્ચે ૪૮ ટકા

૩૦ થી ૩૫ ટકા પાણી વહી જતું અટકાવી શકાય તેમ છે

આ સંશોધનના ગાઈડ અને વરિષ્ઠ અધ્યાપક ડો.સૂર્યનારાયણનું કહેવું છે કે,હજી પણ મોડુ થયું નથી. વરસાદના પાણીનો મોટો હિસ્સો વેડફાઈ જાય છે તે ચિંતાનો વિષય છે.પાણીને જમીનમાં ઉતરવા માટે હવે જગ્યા ઓછી થઈ ગઈ છે.આ સંજોગોમાં જો ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ, વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેકટ હાથ ધરવામાં આવે અને વરસાદનું પાણી શહેરના તળાવોમાં વાળવામાં આવે તો વરસાદનું ૩૦ થી ૩૫ ટકા પાણી જમીનમાં ઉતારી શકાય અથવા બચાવી શકાય તેમ છે.ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ આપણી ભાવી પેઢીની તાતી જરુરિયાત છે.

૨૦૦૮ પછી શહેરનો અર્બન એક્સપાન્શન ઈન્ડેક્સ ૧.૯૨

પીએચડી સ્કોલર ડો.સુમિત્રા સોનાલિયાનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય ગાઈડલાઈનના આધારે શહેરના વિસ્તરણ માટેના એક્સ્પાન્સ ઈન્ડેક્સના આધાર પર જોવામાં આવે તો ૧૯૭૭ થી ૧૯૮૮ વચ્ચે શહેરનો એક્સપાન્સન ઈન્ડકેસ ૦.૫૯ એટલે કે મધ્યમ હતો.એ પછી ૯૮ થી ૨૦૦૮ની વચ્ચે આ ઈન્ડેક્સ ૧.૫૨ હતો.જેનો અર્થ કે ૧૯૯૮થી શહેરના વિસ્તરણમાં ઝડપ આવી હતી.જ્યારે ૨૦૦૮ પછી આ ઈન્ડેકસ ૧.૯૨ છે.જેનો અર્થ એ થાય છે કે, શહેરનું પૂરઝડપે વિસ્તરણ થઈ રહ્યું છે.