નેનો સાયન્સમાં ધો. 12 પછી પ્રવેશ છતાં નવા પ્રવેશાર્થી માત્ર 11 મળ્યા

યુનિ.માં સૌથી આધુનિક સુવિધા સાથેનું બિલ્ડિંગ હોવા છતાં 30 વિદ્યાર્થીઓની ઇન્ટેક હોવા છતાં : બીએસસી એપ્લાઇડ સાયન્સમાં છેલ્લા 4 વર્ષથી અડધી સંખ્યા પણ ભરાતી નથી : સ્કોલર અધ્યાપકો છતાં કથળતું જતું શિક્ષણ
રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ ઉપર આવેલા જુદા-જુદા 29 ભવનો પૈકી સૌથી વધુ આધુનિક સુવિધા સાથેનું નવું બિલ્ડિંગ નેનો સાયન્સ ભવન ઓળખાય છે. બીએસસી અને એમએસસી ઇન્ટીગ્રેટેડ કોર્સમાં અહીં ધો. 12 સાયન્સ પછી વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે નવા પ્રવેશાર્થીની સંખ્યા માત્ર 11 હોવાનું જાણવા મળે છે. સ્વનિર્ભર કોલેજ અને યુનિવર્સિટીનાં વધતાં જતાં પ્રવાહને લીધે ઉત્તમ કારકિર્દી માટે ઉપયોગી એવી નેનો સાયન્સ વિદ્યાશાખામાં અભ્યાસ કરવવા ઇચ્છુકોની ઘટતી જતી સંખ્યા ચિંતાનો વિષય બની રહી છે.
સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં સ્થાપના કાળથી ફિઝીક્સ, કેમીસ્ટ્રી અને બાયો સાયન્સ વિષયક ભવનો કાર્યરત રહ્યાં છે. પરંતુ રાજ્ય સરકારની રૂા. ૩ કરોડની આર્થિક મદદથી અહીં વર્ષ ૨૦૨૨માં નવું નેનો સાયન્સ ભવન ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં આધુનિક પાંચ લેબોરેટરી, પુરતી લાયકાત ધરાવતા ૬ અધ્યાપકો, વિશાળ વર્ગખંડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં નેનો સાયન્સમાં સંશોધન માટે ઉપયોગી એવા સાધનો પૈકી રૂા. ૧ કરોડ ૪૦ લાખના ખર્ચે થીન ફિલ્મ બનાવવા માટે પલ્સ લેઝર ડિપોઝીશન મશીન, પદાર્થોની પ્રોપર્ટી જાણવા માટે રૂા. ૧૮ લાખ એલસીઆર મીટર ઉપરાંત મટીરીયલનું લોટેમ્પરેચર જાણવા માટેનાં આધુનિક સાધનો ઉપલબ્ધ હોવા છતાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન ઇન્ટેક કેપીસીટીની સાપેક્ષમાં આવા વિદ્યાર્થી પણ મળ્યાં નથી. વર્ષ 2022માં નવા પ્રવેશાર્થી 44 હતા. વર્ષ 2023માં 9, વર્ષ 2024 માં 3અને આ વર્ષે માત્ર 11ની સંખ્યા નોંધાઇ છે.
ફિઝીક્સ પ્રત્યે વિદ્યાર્થીઓની ઘટતી જતી અભિરૂચી, નિયમિત ફરજીયાત હાજરી, સાયન્સ પછી એન્જિનીયરિંગમાં એડમિશન લેવાનું માનસ અને સ્વનિર્ભર યુનિવર્સિટી અને કોલેજોનાં વધતા જતાં ચલણને કારણે સૌરાષ્ટ્ર યુનિ.નાં નેનો સાયન્સ ભવનમાં નવા પ્રવેશાર્થી ઘટતા રહ્યા હોવાનું અનુમાન ભવનનાં અધ્યાપકો દર્શાવી રહ્યાં છે. અલબત આ જ સ્થિતિ યથાવત રહી તો ગુજરાતમાં એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં કાર્યરત નેનો સાયન્સનાં અભ્યાસક્રમને બંધ કરવો પડે તેવી સ્થિતિ આગામી વર્ષો દરમિયાન સર્જાશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી









