Get The App

8 માસમાં શહેરીજનોએ મનપામાં સૌથી વધુ નળ-ગટરની ઓનલાઈન ફરિયાદ નોંધાવી

Updated: May 20th, 2025

GS TEAM


Google News
Google News
8 માસમાં શહેરીજનોએ મનપામાં સૌથી વધુ નળ-ગટરની ઓનલાઈન ફરિયાદ નોંધાવી 1 - image


- મહાપાલિકાના ઓનલાઈન ફરિયાદ પોર્ટલમાં 2,755 ફરિયાદ નોંધાઈ 

- બીજા ક્રમે કચરાં અને રોડને લગતી ફરિયાદો નોંધાઈઃ 36 પૈકી 31 વિભાગોએ, 2,280 ફરિયાદનો નિકાલ કર્યો : 80 પેન્ડિંગ અને 395 ફરિયાદને દફતરે કરાઈ 

ભાવનગર : આજના ડિજિટલ યુગમાં આંગળીના ટેરવે તમામ સમસ્યાના સમાધાન શક્ય બન્યા છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અપાતી આંતર માળખાગત ૩૬ જેટલી સુવિધામાં સમસ્યા કે તકલીફ જણાય તો શહેરનો કોઈપણ નાગરિક ઓનલાઈન ફરિયાદ કરી શકે અને તેનું ત્વરિત નિવારણ લાવવા અમલી બનાવાયેલાં સીએમઆરએસ પોર્ટલમાં આઠ માસમાં શહેરીજનોએ ૨૭૫૫ ફરિયાદો નોંધાવી છે. મહત્વપૂર્ણ છે કે, આ ફરિયાદો પૈકી સૌથી વધુ ફરિયાદો નળ- ગટરની સમંસ્યા અંગે નોંધાઈ છે સામાપક્ષે મહાપાલિકા દ્વારા તેનો ત્વરિત ઉક્લ પણ લાવવામાં આવ્યો છે. 
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને નળ,ગટર,પાણી, સફાઈ, રસ્તા, સ્ટ્રીટલાઈટ, ઘર આંગણેથી કચરાનો ઉપાડ, વાહન વ્યવહાર સહિતની સુવિધા અને મકાનના પ્લાનની મંજૂરીથી લઈ વિવિધ કરવેરા તથા પ્રાથમિક આરોગ્ય ક્ેન્દ્રથી લઈ જન્મ-મરણના દાખલા સહિતની ૩૬ સુવિધા અને સેવા આપવામાં આવે છે. આ સુવિધા-સેવામાં સમસ્યા કે તકલીફ જણાય તો શહેરીજનો મહાપાલિકા કચેરીએ આવ્યા વગર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે તે માટે ગત સપ્ટેમ્બર-૨૦૨૪ની ૨૦ તારીખથી મહાપાલિકાએ કમ્પલેઈન્ડ રિડ્રેસલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (સીએમઆરએસ) અમલી બનાવી છે.મહાપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવેલું આ પોર્ટલ શરૂ થયું ત્યારથી આજદિન સુધી એટલે કે આઠ માસ દરમિયાન મહાપાલિકા સમક્ષ ૩૬ પૈકી ૩૧ વિભાગની મળી કુલ ૨,૭૫૫ ઓનલાઈન ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં સૌથી વધુ ડ્રેનેજ (ગટર) વિભાગની ૫૯૫, વોટર વર્કસ (પાણીની સમસ્યા કે તેને સંબંધિત તકલીફ) વિભાગ સંબંધિત ૫૯૦ ફરિયાદ નોંધાઈ છે. જયારે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (કચરો ઉપાડવા સંબંધિત) ને લગતી ૪૪૪ અને રોડને લગતી અત્યારસુધીમાં ૩૦૬ ફરિયાદ નોંધાઈ છે. જે પૈકી મહાપાલિકાએ ડ્રેનેજ વિભાગની  ૫૬૪, વોટર વર્કસ વિભાગની ૩૫૯, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ૪૦૯ તથા રોડ વિભાગની ૨૮૫ મળી કુલ ૨૨૮૦ ફરિયાદનો નિકાલ કર્યો છે. જયારે, હાલની સ્થિતિએ ૮૦ ફરિયાદ પેન્ડિંગ હોવાનું અને ૨,૭૫૫ પૈકી ૩૯૫ ફરિયાદ એક યા બીજા કારણોસર દફતરે કરવામાં આવી છે.

ઓનલાઈન ફરિયાદોનો આંકડો જોતાં શહેરમાં સૌથી વધુ ફરિયાદ પાણી અને ડ્રેનેજની સમસ્યાની એટલે કે નળ-ગટરને લગતી હોવાનું ઓનલાઈન ફરિયાદો જોતાં જણાય છે. મહાપાલિકાએ આ બન્ને વિભાગમાં મેનપાવર વધારવાની સાથોસાથ આધુનિક સુવિધાથી સજજ થવાની જરૂર છે. 

જનસંપર્ક વિહોણાં પાંચ વિભાગોને કોઈ જ ફરિયાદ મળી નહીં 

ભાવનગર મહાનગરપાલિકાએ ઓનલાઈન ફરિયાદ માટે વિભાજિત કરેલાં ૩૬ વિભાગો પૈકી ઓડિટ, કલ્ચરલ, લિગલ, મીડ ડે મિલ તથા ટ્રાન્સપોર્ટ વિભાગમાં અત્યાર સુધીમાં એકપણ ફરિયાદ મળી નથી.આ પાંચ પૈકી ચાર વિભાગો સીધો જ જનસંપર્ક ધરાવતાં ન હોવાથી તેમાં એકપણ ફરિયાદ નોંધાઈ નથી,જયારે મ્યુનિ.ના ટ્રાન્સપોર્ટ વિભાગ હાલ કાર્યરત ન હોવાથી તેમાં પણ એકપણ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળેલ છે. 

ત્વરિત નિકાલ માટે ફરિયાદ સીધી જ ફિલ્ડ કર્મીને મળે તેવી સુવિધા 

મહાનગરપાલિકામાં કાર્યરત ઓનલાઈન સુવિધામાં કોમ્પ્યુટર વિભાગે એવી વ્યવસ્થા કરી છે કે અરજદાર જે-તે વિભાગની ઓનલાઈન ફરિયાદ કરે તે તુંરંત જ સંબંધિત ફિલ્ડ કર્મચારી કે વોર્ડ કર્મચારીને મળે છે. જે નિયત સમયમાં પુરી ન કરે તો ક્રમશઃ આ ફરિયાદ નાયબ કમિશનર સુધી પહોંચે છે.નોડલ અધિકારી સુધી ફરિયાદ પહોંચે તો નીચેના કર્મચારીએ ફરિયાદનો નિકાલ ન થવાનું કારણ આપવું પડે છે. તેવી જોગવાઈ હોવાથી ફરિયાદનો ત્વરિત નિકાલ થાય છે. 

ટૂંકસમયમાં વોટ્સેપથી પણ ફરિયાદ નોંધાવી શકાશે 

મહાપાલિકાના કોમ્પ્યુટર વિભાગના વડા અરવિંદ મેરે જણાવ્યું કે, હાલ શહેરમાં રહેતાં કોઈપણ વ્યકિત મહાપાલિકાની વેબસાઈટ કે એપ્લીકેશન મારફતે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે. જેમાં તેની ફરિયાદનું સ્ટેટસ અને અપડેટ એસએમએસ કે ઈ-મેઈલથી મળે છે. જો કે, ટૂંકસમયમા વોટ્સેપથી ફરિયાદ નોંધાઈ શકે તે દિશામાં મહાપાલિકાએ કાર્યવાહી શરૂ કરી હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું. 


Tags :