સ્કૂલમાં અન્ય બાળકે ફેંકેલી પેન વાગતા બાળકે આંખ ગુમાવી, શાળા પર બેદરકારીનો આક્ષેપ
વડોદરાઃ શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા એક બાળકને સ્કૂલમાં અન્ય બાળકે રમત-રમતમાં ફેંકેલી પેન આંખમાં વાગી ગઈ હતી.જેના કારણે આ બાળકને એક આંખ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ મામલામાં સ્કૂલ સંચાલકોની ગંભીર બેદરકારી હોવાના આક્ષેપ સાથે ઓલ ગુજરાત વાલી મંડળે બાળકના પિતાને સાથે રાખીને સ્કૂલમાં રજૂઆત કરી હતી.વાલી મંડળના દીપક પાલકરે કહ્યું હતું કે, આ ઘટના ત્રણ મહિના પહેલા હોળીના દિવસે બની હતી.અન્ય બાળકની પેન આ બાળકને આઁખમાં વાગી હતી.તેણે આ બાબતે શિક્ષકને જાણકારી આપી હતી.એ પછી બાળકને સ્કૂલમાં એક કલાક સુવાડી રાખવામાં આવ્યો હતો.આ દરમિયાન તેના પિતાને જાણ કરવામાં આવી હતી.તેના પિતા આવ્યા હતા અને બાળકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.આ ઘટનાને ત્રણ મહિના થઈ ગયા છે.બાળકને એક આંખે બીલકુલ દેખાતું નથી.અન્ય આંખ પર પણ અસર થવા માડી છે.હવે તેની સારવાર અમદાવાદ ખાતે કરાવવી પડે તેમ છે.બાળકના પિતા ગરીબ છે અને હાથરીક્ષા ચલાવે છે અને આ ત્રણ મહિના દરમિયાન સ્કૂલ સંચાલકોએ બાળકની સારવાર કરાવવાની દરકાર કરી નથી.બાળક ત્રણ મહિનાથી સ્કૂલે પણ જઈ શકતો નથી.તેના ભવિષ્ય પર સવાલો સર્જાયા છે.વાલી મંડળના સભ્યોએ કહ્યુંહ તું કે, સંચાલકો આ બાળકની સારવાર નહીં કરાવે તો અમે સ્કૂલ સામે કાયદાકીય કાર્યવાહી કરીશું.
સ્કૂલ પાસે ઈન્સ્યોરન્સ છે, બાળકની સારવાર કરાવવાની તૈયારી બતાવી હતી
સ્કૂલના એડમિનિસ્ટ્રેટરે કહ્યું હતું કે, સ્કૂલ પર થયેલા આક્ષેપો કરતા વાસ્તવિકતા અલગ છે.અમે બાળકોનો ગુ્રપ ઈન્સ્યોરન્સ લઈએ છે.બાળકની સારવાર કરાવવા માટે અમે ઈન્સ્યોરન્સ કંપનીનો સંપર્ક પણ કર્યો હતો.બાળકને જોકે તેના પિતા સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા.બાળકની સર્જરી વખતે અમારા શિક્ષક હાજર હતા.જોકે છેલ્લા બે મહિનાથી વાલી અમારી સાથે સંપર્કમાં નથી.અમારા આચાર્યનો પણ ફોન પણ તેઓ ઉપાડતા નથી.એ પછી અચાનક જ તેમણે હવે સ્કૂલ પર બેદરકારી દાખવવાનો આરોપ મૂકયો છે.મેં આ બાબતે ટ્રસ્ટી મંડળના પ્રમુખને જાણ કરી છે.બહારગામથી આવ્યા બાદ તેઓ બાળકને અને તેના પિતાને મળશે.સ્કૂલ તેમને શક્ય હોય તે મદદ કરવા તૈયાર છે.
ડીઈઓ કચેરી સ્કૂલને નોટિસ આપે તેવી માગ
ઓલ ગુજરાત વાલી મંડળના આગેવાને કહ્યું હતું કે, ડીઈઓ કચેરી સ્કૂલને નોટિસ આપે અને તેની સામે કાર્યવાહી કરે તેવી અમારી માગ છે.અમે ડીઈઓ કચેરીને ચેતવણી આપીએ છે કે સમગ્ર મામલા પર ઢાંક પીછોડો કરવાની અને સ્કૂલ સંચાલકોને છાવરવાની કોશીશ કરશે તો તેનું પરિણામ સારુ નહીંં આવે.