મકાઈ પુલના જોઈન્ટ ને રીપેર કરવા એક તરફનો બ્રિજ બંધ કરાયો
- વિવેકાનંદ સર્કલ થી અડાજણ તરફના છેડો બંધ કરાતા ટ્રાફિકની સમસ્યા વધશે
પ્રતિનિધિ દ્વારા સુરત, સોમવાર
સુરતના અડાજણ અને મકાઈપૂલને જોડતો તાપી નદીના બ્રિજ રીપેરીંગ ના કારણે ચાર દિવસ માટે બંધ કરાયો છે. એક તરફ નો બ્રિજ નો ભાગ બંધ કરાતા આ વિસ્તારમાં એક સમયે ટ્રાફિકની સમસ્યા વધી છે.
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ મેટ્રો અને ડ્રેનેજનું કામ ચાલી રહ્યુ હોવાથી ખાડાના કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. ટ્રાફિક સમસ્યા માં વધારો કરતા મકાઈ પુલ નો એક તરફનો ભાગ બ્રિજના રીપેરીંગ માટે બંધ કરાયો છે.
સુરતના તાપી નદી ઉપર વિવેકાનંદ સર્કલ થી અડાજણ વિસ્તારને જોડતો લો લેવલ બ્રિજ, સ્વામી વિવેકાનંદ બ્રિજ માં મેગા રીપેરીંગની કામગીરી કરવાની બાકી છે. દરમિયાન વિવેકાનંદ સર્કલ થી રાજન તરફ જતાં ફ્રિજ ના કેટલાક જોઈન્ટ ઊંચા થઇ ગયા છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. જો આ જોઈન્ટ તાત્કાલિક રીપેર કરવામાં ન આવે તો અકસ્માત થવાની શક્યતા છે. જેના કારણે મહાનગરપાલિકાએ ઊંચા થઈ ગયેલા જોઈન્ટને રીપેર કરવાની કામગીરી શરૂ કરી છે. આવી બેરિંગ ની કામગીરી ત્રણથી ચાર દિવસ ચાલે તેવી શક્યતા છે. રીપેરીંગ ના કારણે એક તરફનો બ્રિજ બંધ હોવાથી પીકઅવર્સમાં આ જગ્યાએ ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે.