ભાવનગર જિલ્લામાં દર બે દિવસે આગનો એક બનાવ
- સવા બે વર્ષ ઉપરાંતના સમયમાં આગના 591 બનાવ નોંધાયા
- વર્ષ 2023-24 માં આગના 230 ની સામે વર્ષ 2024-25 માં 283 જ્યારે ચાલુ વર્ષમાં 78 બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ દોડી ગયું
શહેર અને જિલ્લામાં ક્યાંય પણ આગનો બનાવ બને એટલે સૌથી પહેલા લોકોને ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસ યાદ આવે અને ગણતરીની પળોમાં ફાયર વિભાગનો નંબર રણકે. શિયાળો, ઉનાળો કે ચોમાસુ ઋતુ કોઈપણ હોય, દિવસ હોય કે રાત ફાયર વિભાગના જવાનો જાણ થાય કે તુરત આગ ઓલવવા માટે દોડી જાય.
ફાયર બ્રિગેડના વિશ્વસનીય વર્તુળોના જણાવ્યા અનુસાર શહેર અને જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન આગના ૨૩૦ બનાવ નોંધાયા હતા તો વર્ષ ૨૦૨૪-૨૫માં આ આંકડો વધીને ૨૮૩ પર પહોંચ્યો હતો. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૭ જૂલાઈ સુધીમાં આગના ૭૮ બનાવ નોંધાઈ ચૂક્યા છે. જેને ઓલવવા માટે ફાયર વિભાગનો સ્ટાફ અવિરત દોડતો રહ્યો હતો.
સવા બે વર્ષમાં ફાયર વિભાગે 602 કિસ્સામાં રેસ્ક્યુ કર્યા
માત્ર આગ ઓલવવા માટે જ નહીં પણ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસીસનો સ્ટાફ આફતગ્રસ્ત લોકોની મદદે પણ દોડી જતો હોય છે અને પંખી-પ્રાણીઓની સહાય માટે પણ. ફાયર વિભાગે વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૬૨, વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૨૩ અને ચાલુ વર્ષમાં ૨૭ જૂલાઈ સુધીમાં ૧૧૭ કિસ્સામાં રેસ્ક્યુ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વર્ષાઋતુના પ્રારંભે જ મેઘરાજાની ધમાકેદાર ઈનિંગથી જળબંબાકારની સ્થિતિ સર્જાતા વિવિધ વિસ્તારોમાં લોકોને રેસ્ક્યુ કરવા માટે ફાયર વિભાગનો સ્ટાફ દોડતો રહ્યો હતો અને ૧૦૧ લોકોના જીવ બચાવ્યા હતા.