જામનગરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં એક આરોપીની ધરપકડ, જેલ હવાલે કરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી બળાત્કાર ગુજારવાના ગંભીર ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે.
માહિતી મુજબ, મુળ જામનગરની અને હાલ રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ આશરે દોઢ મહિના પહેલા બ્યુટી પાર્લરમાં એપોઇન્ટમેન્ટ માટે ફોન કરતા ભૂલથી અન્ય નંબર પર સંપર્ક કર્યો હતો. આ દરમિયાન તે રાજકોટના મવડી વિસ્તારના રહેવાશી અને મુળ મોટી માટલી (તા. કાલાવડ, જી. જામનગર)ના વતની પંકજભાઈ ઉર્ફે લાલો ધીરજભાઈ સભાયા (ઉ.વ. 37) ના સંપર્કમાં આવી હતી.
આરોપીએ મહિલાને કારખાનામાં નોકરી આપવાની લાલચ આપી રાજકોટ બસ સ્ટેશન પાછળ એક હોટલમાં બોલાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આરોપી વારંવાર ફોન અને મેસેજ દ્વારા પરેશાન કરતો રહ્યો હતો.
તા. 8 એપ્રિલ 2026ના રોજ, મહિલા જામનગરમાં પોતાના સસરાના ઘરે આવેલ હોવાની જાણ થતા આરોપી જામનગર આવી સાત રસ્તા વિસ્તારમાં મહિલાને બોલાવી એસ.ટી. બસ સ્ટેશન રોડ પર મયુર મેડિકલ સામે આવેલી હોટલમાં ફરીથી નોકરીના બહાને બોલાવી બે વખત બળાત્કાર ગુજાર્યો હતો.
આ બનાવ અંગે મહિલાના પતિને જાણ થતાં આખરે આ મામલે મહિલાએ જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની મેડિકલ તપાસણી કરાવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી પંકજભાઈ સભાયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરીને જેલ હવાલે કર્યો છે.
આ ગુનાની વધુ તપાસ મહિલા પી.એસ.આઈ. વી.આર. જોરીયા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.








