જામજોધપુર નજીક દલદેવળીયા વિસ્તારમાં ભરવાડ યુવાન પર હુમલો : કુહાડીથી હુમલો કરી જાનથી મારવાની ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના દલદેવળીયા ગામ નજીક ગંભીર મારામારીની ઘટના સામે આવી છે. તા.29/04/2026ના રોજ રાત્રે આશરે 8:00 થી 8:15 વાગ્યાના સમય દરમિયાન દલદેવળીયાથી સડોદર જતા રસ્તા પાસે, રોડથી અંદાજે 100 મીટર દૂર ખારા સીમ વિસ્તારમાં જાહેરમાં આ બનાવ બન્યો હતો.
ફરિયાદી મનોજભાઈ ખોડાભાઈ વકાતર (ઉંમર 33, રહે. દલદેવળીયા, વ્યવસાય ખેતી અને ટ્રાન્સપોર્ટ)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી મચ્છાભાઈ ઘુસાભાઈ હાડગરડા (રહેવાસી દલદેવળીયા)એ જૂના વેરઝેરના કારણે ઝઘડો શરૂ કર્યો હતો. આરોપીએ “તું ગામમાં તારા ટેમ્પાના ફેરા કેમ કરે છે, હવે ફેરા કરતો નહિ નહિતર તારા ટાંટીયા ભાંગી નાખીશ અને જીવતો નહિ રહેવા દઉં” તેવી ધમકી આપી ગાળો બોલી હતી.
ત્યારબાદ આરોપીએ કુહાડી વડે હુમલો કરીને ફરીયાદીના ડાબા કાન ઉપર એક ઘા અને માથાના પાછળના ભાગે બીજો ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવ બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.
આ મામલે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 118(1), 117(2), 352, 351(3) તથા જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.









