જામનગરમાં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં ગઈકાલે મકરસંક્રાંતિના પર્વની રાત્રીએ મારામારીનો એક બનાવ બન્યો હતો, અને એક રાજપૂત યુવાન પર છરી- પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરાયો હોવાથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતો યશપાલસિંહ કનુભા જાડેજા નામનો રાજપુત યુવાન પોતાના ઘેર હતો, જે દરમિયાન તે જ વિસ્તારમાં રહેતા રોહિત શિંગાળા, અશોક શિંગાળા, હિતેશ ઉર્ફે ભૂરો, વીજય ઉર્ફે લાલો તેમજ રવિ શિંગાળા વગેરે હનુમાન ચોક વિસ્તારમાં ધસી આવ્યા હતા, અને પોતાના મિત્ર વિજય ને મારકુટ કરવા બાબતનું મનદુઃખ રાખીને તકરાર કરી હતી, અને છરી વડે હુમલો કરી દેતાં યશપાલસિંહ ઇજાગ્રસ્ત બન્યો હતો, અને હાલ તેને જી.જી હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. પોલીસે આ મામલે હુમલા અંગે પાંચ સામે ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.


