રાજકોટના સંતકબીર રોડ પર મધરાત્રે ખેલાયો ખૂની ખેલ, બે સગાભાઇ પર છરી વડે હુમલો કરતાં એકનું મોત
Rajkot Murder Case: રાજકોટમાં સામાકાંઠે સંતકબીર રોડ પર ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. પરપ્રાંતીય બે ભાઈઓને અજાણ્યા ત્રણ થી ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકી લોહી-લુહાણ કરી દેતા બંનેને સારવાર માટે સિવીલમાં ખસેડાયા હતા. જ્યાં બંનેના મૃત્યુ નીપજ્યા હતા. મકાન ખાલી કરવાના મુદ્દે હત્યા થયાની ચર્ચા છે. જો કે પોલીસ તપાસ બાદ હત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવશે. મોડી રાત્રે બી-ડીવીઝન પોલીસે આ મામલે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.
જબલપુરના અને છેલ્લા દોઢેક વર્ષથી રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે આર્યનગરમાં ભાડે રહેતા અને ચાંદી કામ કરતાં અમીત રાજુભાઈ જૈન (ઉ.વ. 29) અને તેનો ભાઈ વીકી (ઉ.વ. 25) ઘર પાસે હતા ત્યારે ત્રણથી ચાર અજાણ્યા શખ્સો આવી ચઢ્યા હતા અને આડેધડ છરીના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેના સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા હતાં.
નાનોભાઈ વીકી જોઈ જતાં બચાવવા દોડ્યો
આ ઘટના અંગે મૃતકના પિતા રાજુભાઈએ જણાવ્યું કે તેને સંતાનમાં ત્રણ પુત્રો છે. ત્રણેયના લગ્ન થઈ ગયા છે. મોટા પુત્ર અમિતને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. તે સંયુક્ત પરિવારમાં છેલ્લા દોઢેક વર્ષથી રાજકોટમાં રહી ચાંદીકામ કરે છે. પુત્રવધૂએ જમવાનું બનાવ્યું હોય બધા પરિવારજનો જમવાની તૈયારી કરી રહ્યા હતા. આ સમયે પહેલા માળેથી તેનો પુત્ર અમિત નીચેના માળે બાથરૂમ જવાનું કહીને નીકળ્યો હતો. જ્યાં નીચેના માળે અજાણ્યા ત્રણ થી ચાર શખ્સોએ તેને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જે તેનો નાનોભાઈ વીકી જોઈ જતાં બચાવવા દોડ્યો હતો. હુમલાખોરોએ તેને પણ છરીના ઘા ઝીંકી દેતાં બંને લોહીલુહાણ થઇ ઢળી પડ્યા હતા.
આ અંગે જાણ થતાં અમિતના પિતા સહિતના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બંને ઇજાગ્રસ્ત ભાઈઓને તાત્કાલિક સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંનેના મૃત્યુ નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં બી-ડીવીઝન પોલીસના પીઆઈ રાણે સહિતનો સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. અને મોડી રાત્રે આ મામલે ગુનો દાખલ કરવા ઉપરાંત હુમલાખોરોને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા.
સિવીલ હોસ્પીટલમાં બંને મૃતકોના પિતા અને ભાઈ સહિતના પરિવારજનોના રૂદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું. મકાન ખાલી કરવાના મુદ્દે ચારેક શખ્સોએ બંને ભાઈઓને પતાવી દીધાની ચર્ચા છે. જો કે પોલીસ તપાસ બાદ હત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. રાજકોટમાં બે સગાભાઈઓની હત્યાના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.