Gujarat

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો

By GS TEAM
24 Jun 20261 min read
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો

શહેરમાં
પાણીની સમસ્યા વચ્ચે નર્મદા કેનાલમાંથી આજવા સરોવરમાં પાણી ઠાલવવાની કામગીરી શરૃ
થતાં સરોવરની જળસપાટીમાં ધીમી ગતિએ વધારો નોંધાઈ રહ્યો છે. જોકે મ્યુનિસિપલ
કોર્પોરેશનના આગોતરા આયોજનના અભાવે શહેરના પૂર્ર્વ વિસ્તારમાં પાણી માટે વલખાં
મારવાનો વારો આવ્યો હોવાના વિપક્ષના આક્ષેપ છે.

આજવા
સરોવર શહેરના પૂર્વ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતું મુખ્ય જળાશય છે.
તાજેતરમાં સરોવરની જળસપાટી સતત ઘટતાં પાણીની ટાંકીઓના લેવલ નીચે ગયા હતા
, જેના કારણે અનેક
વિસ્તારોમાં પાણીના ઓછા પ્રેશર અને અપૂરતા પુરવઠાની ફરિયાદો ઉઠી હતી. પાણીની
સમસ્યાને લઈ સ્થાનિકોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે.

વિપક્ષ
દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આજવા સરોવરની સપાટી ઘટીને ૨૦૯ ફૂટે પહોંચે ત્યારથી
જ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (એસ.એસ.એન.એલ) પાસેથી પાણી મેળવવાની પ્રક્રિયા
હાથ ધરવી જોઈએ હતી. આગોતરા આયોજનના અભાવે હાલની સ્થિતિ સર્જાઈ હોવાનું વિપક્ષનું
કહેવું છે.

વરસાદ
ખેંચાતા વર્ષ ૨૦૧૮ બાદ પ્રથમ વખત આજવા સરોવરની જળસપાટી ઘટીને ૨૦૫.૪૫ ફૂટ સુધી
પહોંચી હતી. સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિ. કોર્પોેરેશન દ્વારા ગત્ શનિવારથી
નર્મદા કેનાલમાંથી આજવા સરોવરમાં પાણી છોડવાનું શરૃ કરવામાં આવ્યું છે. હાલમાં રોજ
૩૦૦ એમએલડી પાણી સરોવરમાં આવી રહ્યું છે અને આગામી એક મહિના સુધી આ આવક ચાલુ
રહેશે.

નર્મદા
કેનાલનું પાણી મળતાં આજવા સરોવરની જળસપાટીમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે.
છેલ્લા પાંચ દિવસમાં જળસ્તરમાં અડધો ફૂટનો વધારો નોંધાતા હાલ સરોવરની સપાટી ૨૦૫.૯૮
ફૂટે પહોંચી છે. પાણીની આવક યથાવત રહે તો આગામી દિવસોમાં જળસ્તરમાં વધુ વધારો
થવાની શક્યતા છે.

-