જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતા અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા હરદેવસિંહ ભીખુભા ભટ્ટી નામના 22 વર્ષના ક્ષત્રિય યુવાને પોતાના ઉપર છરી લોખંડના પાઇપ, ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે મેઘપરમાં રહેતા પોતાના જ પિતરાઈ ભાઈ મહેન્દ્ર સિંહ કિશોરશિંહ પિંગળ તેમજ તેના પરિવારના સભ્યો અને સાગરીત એવા મયુર રામાવત, ચિરાગ ભાનુશાળી, વંશરાજસિંહ રૂપસંગ પિંગળ, દુષ્યંતસિંહ ભરતસિંહ પિંગળ અને મિતરાજસિંહ રૂપસંગ પિંગળ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનની બહેન ખુશ્બુબા ભટ્ટી કે જેઓ વિરુદ્ધ આરોપી હુમલાખોર મહેન્દ્રસિંહ ના પિતા કિશોરસિંહ પિંગળે મેઘપર પોલીસ મથકમાં સોનાના દાગીના ની ચોરીની ફરિયાદ નોંધાવી હતી, અને તે દાગીના ખુશ્બુબા એ હરેન્દ્રસિંહ જાડેજાને 22 લાખમાં વેચી નાખ્યા હતા.
જે પ્રકરણમાં પોલીસ ફરિયાદ થયા બાદ મેઘપર પોલીસે ખુશ્બુબા પાસેથી દસ લાખ રૂપિયા રોકડા અને બાકીના ઘરેણા કબજે કર્યા હતા, જે પરત આપવાના મામલે કોર્ટે તમામ ઘરેણા કિશોરસિંહને આપી દેવા હુકમ કર્યો હતો, જયારે દસ લાખ રૂપિયા ખુશ્બુબા ને પરત કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો. જે 10 લાખ રૂપિયાની લેતી દેતીના મામલે આરોપી મહેન્દ્રસિંહ અને તેના સાગ્રિતોએ આવીને આ હીચકારો હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. હાલ તમામ આરોપીઓ ભાગી છુટ્યા હોવાથી સીટી એ. ડિવિઝન પોલીસ તમામને શોધી રહી છે.

